Monday, April 5, 2010

ષટ્તિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે

પુલત્સ્ય ઋષિને દાલભ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે. "હે મુનિવર્ય! મૃત્યુલોકમાં જન્મ્યા પછી મનુષ્ય જાણે-અજાણે અનેક પાપ કર્યા કરે છે. મનુષ્યે બ્રહ્મહત્યા કરી હોય, કોઈનું દ્રવ્ય ચોરી લીધું હોય, પરસ્ત્રીગમન કર્યું હોય તો પણ શું તે સ્વર્ગ-પ્રાપ્તિ કરી શકે છે? આવા ઘોર કર્મ કરનારના પાપનું નિવારણ ખરું?"

પુલસ્ત્ય મુનિ કહે છેઃ "હે મુનિ! આજ સુધી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપનીય રાખ્યું છે. ષટ્તિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે." આ વ્રતની વિધિ આ પ્રમાણે છેઃ

વ્રતધારીએ ગાયના છાણમાં તલ અને રૃ મિશ્રિત કરીને ૧૦૮ ગોળા બનાવવા. આ ગોળા પોષ વદ અગિયારશ પહેલાં બનાવી મહા માસમાં તૈયાર રાખવા.

ષટ્તિલા એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઊઠી સ્નાન-વિધિથી પરવારી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરવું, રાત્રે જાગરણ કરવું, શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી પ્રભુનું અર્ચન-પૂજન કરવું, અને સુગંધિત દ્રવ્યો સમર્પણ કરવાં અને અર્ધ્ય આપી પિતૃઓની સદ્ગતિ માટે પ્રાર્થના કરવી.

વ્રતધારીએ પોતાની શક્તિ અનુસાર તલનું ભરેલું પાત્ર અને શ્યામ રંગની ગાય દાનમાં આપવાં. જેટલા તલનું દાન કર્યું હોય તેટલા હજાર વર્ષપર્યંત સ્વર્ગ-પ્રાપ્તિ થાય છે. ષટ્તિલા એટલે મકર સંક્રાન્તિનું સ્વાગત કરવાની પૂર્વ તૈયારી.

વ્રતીએ - (૧) શરીરે તલના તેલની માલિશ કરવી, (ર) તલના પાણીથી સ્નાન કરવું, (૩) તલનો હોમ કરવો, (૪) તલ નાખેલા જળનું પાન કરવું, (પ) તલવટ બનાવીને ખાવો અને (૬) તલનું દાન કરવું. આ છ પ્રકારે તલ પાપ નષ્ટ કરે છે. (તિલા એટલે તલ)

ઉદારતા એ પ્રેમનું સાચું રૃપ છે. પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થભાવના છુપાઈ રહેલ હોય છે. ઉદાર વ્રતધારી અન્યનું દુઃખ દેખી પોતે દુઃખી થાય છે. પ્રકૃતિનો એ ન ભૂંસાય તેવો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી, કરેલ સુપાત્ર દાન વ્યર્થ જતું નથી. આપણાથી વધારે ગરીબ લોકોને દાન આપવાથી આપણી પોતાની ગરીબીનો ભાવ નષ્ટ થઈ જાય છે, એનામાં આત્મવિશ્વાસ દૃઢ બની જાય છે, પરિણામે તેની માનસિક શક્તિ પણ દૃઢ બને છે. જે વ્રતી નિત્ય ઉદાર વિચાર રાખે છે, તેના સંકલ્પો પણ સિદ્ધ થાય છે, પરંતુ આત્મસુખ તો ઉદારતા વગર અશક્ય છે.

તમારે જેની જરૃર નથી એ વસ્તુ મને આપી દો એમાં "ઉદારતા" નથી, પણ તમારે જેની જરૃર મારા કરતાં વધારે છે, એ વસ્તુ તમે મને આપી દો, એમાં જ સાચી ઉદારતા છે.

'હે નારદ! ષટ્તિલા એકાદશીનું વ્રત તો માત્ર ઉદાહરણ તરીકે છે. ઉદાર વ્રતધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું વાતાવરણ સર્જી શકે છે. વિદ્યા જેટલી વધારે અપાય તેટલી તે વધે છે. દાન દેવાથી કોઈ વસ્તુનું વધવું તે કાંઈ ફક્ત વિદ્યાદાનના વિષયમાં સાચું છે તેમ નથી, પરંતુ ઔદાર્યની બાબતમાં પણ સાચું છે.'

સ્વાર્થની ભાવના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે અને ઉદારતાની ભાવના શીલ ઉત્પન્ન કરે છે. ઉદાર વિચાર મનુષ્યની એવી મહાન સંપત્તિ છે કે જે તેને વિપત્તિ સમયે સહાયતા કરે છે. ઉદાર મનુષ્ય હંમેશા ઉત્સાહી અને આશાવાદી હોય છે. ઉદારતા કે પરોપકાર તે માનવમાત્રનું કર્તવ્ય છે. જે મનુષ્ય જનકલ્યાણ માટે મથતો નથી તેનું જગતમાં જન્મવું અને જીવવું ભારરૃપ છે.

એકાદશીનું અનુપમ વ્રત કરનારે પોતાની જીવનસરિતા કલ્યાણ માર્ગે વહાવવી જોઈએ. તેના હ્ય્દયમાં હંમેશા લોકકલ્યાણની ભવ્ય ભાવના વસેલી હોવી જોઈએ. આપણું જીવન આપણા એકલા માટે જ છે એવું નહીં માનતા સર્વના માટે છે એમ માનવું. સહ્ય્દયતા એ અમૂલ્ય ધન છે. આપનાર મેળવે છે, લેનાર ગુમાવે છે. ઉદારતા એ માનવજીવનનો અતિ સુંદર અંશ છે. રાય અને રંકની પરિભાષા એ છે કે, સંતોષી તે રાય અને અસંતોષી તે રંક. પ્રસિદ્ધિ અને રિદ્ધિ એ બેમાંથી એકેય સિદ્ધિનું સાચું માપ નથી. સિદ્ધિનું સાચું માપ છે માત્ર ઉદારતા. જે ઉદારતામાં અભિમાન ભળે છે એ ઉદારતા પોતાની સાત્ત્વિકતા ગુમાવી બેસે છે.

આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન-વસ્ત્રનું દાન કર્યું હતું તેથી અને ષટ્તિલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી સૌન્દર્ય, તેજ, રિદ્ધિ-સિદ્ધિ, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થયાં હતાં. આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભવૃત્તિ ત્યજીને, તૃષ્ણા ત્યજીને, "તેન ત્યકતેન ભુંજિથા"એ સૂત્રાનુસાર ત્યાગ-ભાવના દાખવીને, ઉદારતા દાખવીને દલિતપીડિત વર્ગને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન વગેરે આપે છે તે વ્યક્તિ જન્મજન્માંતર સુધી આરોગ્યને પામે છે. તેને દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી.

આ પ્રકારે ભવિષ્યોત્તર પુરાણમાં આ વ્રતના મહાત્મ્યનો જે નિર્દેશ કર્યો છે તે મહાત્મ્ય નારદજીને ભગવાન શ્રીકૃષ્ણે સવિસ્તાર કહી સંભળાવ્યું. આ વ્રત-કથાનું જે શ્રવણ અને વાંચન કરે છે તેના પણ સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વૈકુંઠને પામે છે.

No comments:

Post a Comment