Friday, May 21, 2010

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ- 3

રોજિંદા જીવનમાં વ્યવહાર :

78. પોતાની ઉપજ મુજબ જ ખર્ચ કરવો. ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે.

79. પોતાની ઉપજ તથા ખર્ચનું નિત્ય રૂડા અક્ષરે પોતે જાતે નામું લખવું.

80. કરજ દઈ ચૂક્યા હોઈએ, તો તે છાનું ન રાખવું.

81. સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ જમીન ને ધનના લેણદેણનો વ્યવહાર ક્યારેય ન કરવો.

82. પોતાના અથવા બીજાના વિવાહ સંબંધી કાર્યમાં આપવા યોગ્ય ધનની વિગત સાક્ષીએ સહિત લેખિત કરવી પણ કેવળ બોલી જ ન કરવી.

83. પોતાના સામર્થ્ય પ્રમાણે ગરીબો પ્રત્યે દયાવાન થવું.

84. ધનાઢ્ય ગૃહસ્થ સત્સંગીઓએ સુપાત્રને દાન દેવું.

85. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણ દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય અનુસારએ કરવાં.

86. ગૃહસ્થ સત્સંગીઓએ સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વપરાશ હોય તેટલા અન્ન-ધનનો સંગ્રહ કરવો.

87. જેના ઘરમાં પશુ હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્યપૂળાનો સંગ્રહ કરવો.

88. પશુની સેવા થાય તેમ હોય તો જ તે પશુને રાખવા; અને જો સેવા થાય તેમ ન હોય તો ન રાખવાં.

89. વિદ્યાદાન એ મોટું દાન છે. માટે સદ્દવિદ્યાનું પ્રવર્તન કરવું.

સંગશુદ્ધિ :

90. કૃતઘ્નીના સંગનો ત્યાગ કરવો.

91. ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા (જાદુ-મંત્ર) કરીને ઠગનારો – એ છ પ્રકારના મનુષ્યનો સંગ ન કરવો.

92. ભક્તિ અથવા જ્ઞાનનું આલંબન લઈને સ્ત્રી, ધન અને રસાસ્વાદમાં અતિશય લોલુપ થકા પાપ કરતા હોય તેનો સંગ ન કરવો.

આપત્કાળમાં શું કરવું ?

93. શાસ્ત્રે કહેલો આપદ્દ ધર્મ અલ્પ આપત્કાળમાં ક્યારેય ગ્રહણ ન કરવો.

94. કષ્ટ દેનારી એવી કોઈ કુદરતી, મનુષ્ય સંબંધી કે રોગાદિક આપત્તિ આવી પડે ત્યારે, પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું.

95. કોઈક કઠણ ભૂંડો કાળ, શત્રુ અથવા રાજાના ઉપદ્રવથી પોતાની લાજ જતી હોય, ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય ત્યારે, પોતાના મૂળ ગરાસનું ગામ તથા વતન હોય તો પણ તેનો તત્કાળ ત્યાગ કરી દેવો; અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવા સ્થાનમાં જઈને સુખેથી રહેવું.

આહારશુદ્ધિ :

96. વ્યસનનો ત્યાગ કરવો. ભાંગ, આદિ કેફ કરનારી વસ્તુ ખાવી નહિ અને પીવી પણ નહિ.

97. ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનો દારૂ તે દેવાઅને નૈવેદ્ય કર્યાં હોય તો પણ ન પીવાં.

98. માંસ તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું.

99. જે દેવતાને દારુ અને માંસનું નૈવેદ્ય થતું હોય અને જે દેવતાની આગળ બકરાં આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું.

100. ગાળ્યા વિનાનું જળ તથા દૂધ ન પીવું. જે જળમાં ઘણાંક ઝીણા જીવ હોય તે જળથી સ્નાનદિક ક્રિયા ન કરવી.

101. ચામડાના પાત્રમાં રહેલું પાણી ન પીવું.

102. ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય વસ્તુ ન ખાવી.

103. ઔષધ પણ દારુ તથા માંસે યુક્ત હોય તો તે ક્યારેય ન ખાવું.

104. જે વૈદ્યનું આચરણ જાણતા ન હોઈએ તે વૈદ્યે આપેલું ઔષધ પણ ક્યારેય ન ખાવું.

સ્વચ્છતાના નિયમો :

105. લોક અને શાસ્ત્રમાં મળમૂત્ર કરવા માટે વર્જિત કરેલાં જાહેર સ્થાનો (દેવાલય, નદીનો કિનારો, તળાવનો આરો, માર્ગ, વાવેલું ખેતર, વૃક્ષની છાયા, ફૂલવાડી, બગીચા – એ આદિક) માં ક્યારેય પણ મળમૂત્ર ન કરવું, થૂંકવું પણ નહિ.

દાન તથા દેવ અને ગુરુ સાથે વ્યવહાર :

106. ગૃહસ્થાશ્રમી સત્સંગીઓએ પોતાની આવકના ધન-ધાન્ય આદિમાંથી દશમો ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરવો. જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો.

107. ધનાઢ્ય ગૃહસ્થોએ મંદિરમાં મોટા ઉત્સવ કરાવવા.

108. પોતાના ગુરુને આવતા જાણીને આદરથકી તત્કાળ સન્મુખ જવું અને તેઓ પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું.

109. ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શને ખાલી હાથે ન જવું.

110. પોતાના ગુરુ તથા ભગવાનનાં મંદિરનું દેવું ન રાખવું.

111. મંદિર પાસેથી પોતાના વ્યવહાર માટે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક વસ્તુ માગી લાવવાં નહિ.

112. ભગવાન, ગુરુ તથા સાધુનાં દર્શન કરવા જવું ત્યારે માર્ગમાં પારકું અન્ન ખાવું નહિ. કારણ કે પારકું અન્ન પુણ્યને હરી લે છે.

113. ધનાઢ્ય ગૃહસ્થોએ તીર્થમાં તથા દ્વાદશી આદિક પર્વમાં બ્રાહ્મણ-સાધુઓને જમાડવા.

114. પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રાદિકે કરીને પોતાના ગુરુને પૂજવા.

115. ધનાઢય ગૃહસ્થ સત્સંગીઓએ હિંસાએ રહિત યજ્ઞો કરાવવા.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ- ૨


 અહિંસા ધર્મ :

40. અહિંસા મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે.

41. કોઈ જીવ-પ્રાણીમાત્રની હિંસા ન કરવી. જાણીને તો જૂ, માંકડ, ચાંચડ આદિક જીવની પણ હિંસા ક્યારેય ન કરવી.

42. દેવતા અને પિતૃના યજ્ઞ માટે પણ હિંસા ન કરવી.

43. ધનાઢ્ય ગૃહસ્થ સત્સંગીઓએ હિંસાએ રહિત યજ્ઞ કરવા.

44. સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિ માટે પણ કોઈ મનુષ્યની હિંસા કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.

45. કોઈપણ રીતે આત્મહત્યા ન કરવી, તીર્થમાં પણ નહીં, ક્રોધે કરીને કે ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો મુંઝાઈને 
પણ આત્મહત્યા ન કરવી.

46. ક્યારેક પોતાથી અથવા કોઈ બીજાથી અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રથી પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું. ક્રોધે કરીને પણ પોતાન કે બીજાના અંગનું છેદન ન કરવું.

નૈતિક સદ્દાચાર :

47. જુગાર રમવો નહિ.

48. ચોરી ન કરવી. ધર્મકાર્ય માટે પણ ચોરી ન કરવી.

49. ધણિયાતાં કાષ્ઠ, પુષ્પ આદિક વસ્તુ તેના ધણીને પૂછ્યા વિના ન લેવાં.

50. કોઈનો વિશ્વાસઘાત ન કરવો.

51. પોતાના સ્વાર્થ માટે પણ કોઈ ઉપર મિથ્યા આરોપ ન મૂકવો.

52. કોઈની પણ ગુપ્ત વાત કોઈ ઠેકાણે જાહેર કરવી જ નહિ.

53. પોતાનો તથા પારકાનો દ્રોહ થાય તેવું સત્ય વચન ક્યારેય ન બોલવું.

54. લાંચ ન લેવી.

55. ગાળ તો ક્યારેય ન દેવી.

56. પોતે પોતાનાં વખાણ ન કરવાં.

57. ચોરમાર્ગે પેસવું નહિ અને નીસરવું નહિ.

58. ધણિયાતા સ્થાનમાં તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો.

સામાજિક વ્યાવસાયિક નીતિ :

59. પોતાને યોગ્ય હોય એવો ઉદ્યમ વ્યવસાય પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો.

60. જે મનુષ્ય જેવા ગુણે યુક્ત હોય તેને તેવું કાર્ય વિચારીને જ સોંપવું, પણ જે કાર્યમાં યોગ્ય ન હોય તેને તે કાર્ય ક્યારેય ન સોંપવું.

61. પોતાના સેવક(નોકર-મજૂર)ની સામર્થ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રે યોગ્ય સંભાવના નિરંતર રાખવી.

62. મજૂરની જેટલું ધન-ધાન્ય આપવાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેથી ઓછું ન આપવું.

63. દુષ્ટ લોકોની સાથે વ્યવહાર ન કરવો.

64. પોતાનો વંશ ને કન્યાદાન છાનું ન રાખવું.

65. દરેક વ્યક્તિને ઘટે તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવી, પણ એથી બીજી રીતે ન બોલાવવી.

66. જેનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમર્દષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ.

67. ગુરુ, રાજા, વૃદ્ધ, ત્યાગી, વિદ્ધાન અને તપસ્વી આવે ત્યારે સન્મુખ ઊઠવું, અને એમનું સન્માન કરવું.

68. ગુરુ, દેવ ને રાજાની સમીપે તથા સભામાં પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રથી ઢીંચણને બાંધીને ન બેસવું. (શિષ્ટ વર્તન રાખવું.)

69. પોતાના ગુરુ સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો. પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રાદિકે કરીને તેમને પૂજવા.

70. ગુરુનું અપમાન ન કરવું.

71. શ્રેષ્ઠ મનુષ્ય, લોકને વિષે પ્રતિષ્ઠિત, વિદ્વાન તથા શસ્ત્રધારીનું અપમાન ન કરવું.

72. રાજા તથા રાજાના માણસ સંગાથે વિવાન ન કરવો.

73. માતા, પિતા, ગુરુ તથા રોગાતુર મનુષ્યની સેવા જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.

74. અતિથિની પોતાની શક્તિ પ્રમાણે અન્નાદિકથી સેવા કરવી.

75. વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું પરંતુ ધર્મ સંબંધી કાર્ય તો તત્કાળ કરવું.

76. પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી.

77. દેવકર્મ ને પિતૃકર્મ સામર્થ્ય પ્રમાણે કરવું.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ-1

ભગવાન સ્વામિનારાયણ કહે છે :

1. સંવત ૧૮૮૨ના મહા સુદી પંચમીના દિવસે, અમે, સર્વે દેશમાં રહેલા અમારા સર્વે આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખીએ છીએ.

2. અમારા સર્વે આશ્રિતોએ પોતાના ધર્મની રક્ષા કરનારા, શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અમારા રૂડા આશીર્વાદ વાંચવા.

3. શિક્ષાપત્રી લખવાનું કારણ સર્વી એકાગ્ર મને ધારવું.

4. તે સર્વે જીવનું હિત કરનારી, પરમ કલ્યાણકારી છે. સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળ દેનારી છે.

5. જે કોઈ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે.

6. અમારી બુદ્ધિથી સર્વે સત્શાસ્ત્રોનો સાર કાઢીને શિક્ષાપત્રી લખી છે.

7. પ્રીતિપૂર્વક આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું. તેનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ.

8. શિક્ષાપત્રીમાં અમે લખેલા ધર્મનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો.

9. જે બાઈભાઈ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે અમારા સંપ્રદાય થકી બહાર છે.

10. શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો; અને જેમને ભણતાં આવડતું ન હોય તેમણે આદરપૂર્વક આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. વાંચી સંભળાવે એવો કોઈ ન હોય તો તેની નિત્ય પૂજા કરવી. 

11. શિક્ષાપત્રી દૈવી મનુષ્ય હોય તેને આપવી; પરંતુ જે આસુરી હોય તેને તો ક્યારેય ન આપવી.

12. અમારી વાણી અમારું સ્વરૂપ છે – એમ માની શિક્ષાપત્રીને પરમ આદરપૂર્વક માનવી.

ધર્મ-સદાચારનો માર્ગ :

13. શ્રુતિ-સ્મૃતિએ પ્રતિપાદન કરેલો સદાચાર તે ધર્મ જાણવો.

14. સતશાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા અહિંસા આદિક સદાચારને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય આ લોક ને પરલોકમાં મહા સુખિયા થાય છે.

15. સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે. તે આ લોક ને પરલોકમાં નિશ્ચય મોટું કષ્ટ પામે છે.

16. પોતપોતાના વર્ણાશ્રમના ધર્મનો કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો. પરધર્મ, પાખંડધર્મ તેમજ કલ્પિત ધર્મનું આચરણ ન કરવું

17. ઘણું ફળ મળતું હોય તો પણ ધર્મે રહિત કાર્ય ન જ કરવું. કારણ કે ધર્મ જ સર્વ પુરુષાર્થ આપનારો છે. માટે કોઈક ફળના લોભે ધર્મનો ત્યાગ ન કરવો.

18. પૂર્વે થયેલા મોટા પુરુષોએ જો ક્યારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું અનુસરણ ન કરવું. તેમણે જે ધર્માચરણ કર્યું હોય તેનું જ અનુસરણ કરવું.

19. ધર્મે રહિત ભગવાનની ભક્તિ કોઈ પ્રકારે ન કરવી. ભગવાનની ભક્તિ ધર્મે સહિત જ કરવી, એ સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે.

નિત્ય આહનિક કર્મ :

20. સત્સંગીએ કંઠમાં તુલસીની બેવડી કંઠી નિત્યે ધારવી.

21. નિત્યે સૂર્ય ઊગ્યાથી પ્રથમ જ જાગવું. ભગવાનનું સ્મરણ કરી શૌચવિધિ કરવા જવું.

22. પછી એક સ્થાને દાતણ કરવું. પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું.

23. પછી શુદ્ધ, કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવા આસન પર પૂર્વ કે ઉત્તર મુખે બેસવું.

24. ભગવાનના પ્રસાદીભૂત ચંદન અથવા ગોપીચંદન વડે લલાટ, હ્રદય અને બે ભુજાએ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. લલાટમાં તિલક કરવું. લલાટમાં તિલકના મધ્યમાં ગોળ ચાંદલો કુંકુમ વડે કરવો. અન્યત્ર ચંદનનો ચાંદલો કરવો.

25. સધવા સ્ત્રીઓએઓ પોતાના ભાલે કેવળ કુંકુમનો ચાંદલો કરવો.

26. વિધવા સ્ત્રીઓએ પોતાના ભાલે તિલક કે ચાંદલો ન કરવાં.

27. પછી મને કરીને કલ્પ્યાં ચંદન-પુષ્પાદિક ઉપચારથી ભગવાનની માનસી પૂજા કરવી.

28. પછી ભગવાનની ચિત્રપ્રતિમાનું આદરથી દર્શન કરીને, નમસ્કાર કરીને પોતાના સામર્થ્ય પ્રમાણે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો. પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું.

29. વૃદ્ધપણાથી અથવા કોઈ મોટા આપત્કાળથી અસમર્થપણું થઈ જાય તો પોતાની પૂજા-સેવા બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું.

30. નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો.

31. અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિરે(ગામમાં મંદિર ન હોય તો ઘરમંદિરમાં આરતી-નામ-સંકીર્તન કરવું) જવું.

32. ભગવાનની કથાવાર્તા પરમ આદર થકી કરવી ને સાંભળવી.
આત્મનિવેદી ભક્તનાં નિત્યકર્મ :

33. અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યન્ત સર્વે ક્રિયા કરવી.

34. આત્મનિવેદી ભક્તે પાષાણ અથવા ધાતુની ભગવાનની પ્રતિમાની પૂજા દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત ચંદન-પુષ્પ-ફળાદિક વસ્તુથી કરવી. પછી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો.

35. પછી ભગવાનનાં સ્તોત્ર અથવા ગ્રંથનો પાઠ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે ભગવાનનું નામકીર્તન કરવું.

36. પછી ભગવાનને નૈવેદ્ય કરીને તે પ્રસાદીનું અન્ન જમવું.

37. આત્મનિવેદી ભક્તે ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. પત્ર, કંદ, ફળાદિક વસ્તુ તે પણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું.

38. આત્મનિવેદી ભક્તોએ સદાય પ્રીતિપૂર્વક ભગવાનની સેવાપરાયણ થવું.

39. ભગવાનના સંબંધથી તે આત્મનિવેદી ભક્તની સર્વે ક્રિયા નિર્ગુણ થાય છે. તેથી આત્મનિવેદી ભક્તને નિર્ગુણ કહ્યા છે.

જલાબાપાનું સચિત્ર જીવન ચરિત્ર


જલાબાપાનાં લગ્ન
 પિતાને બીક હતી કે દીકરાનું મન સાધુસંતો તરફ ઢળેલું છે. તેથી એ સાધુ તો નહી થઈ જાય ને ? એટલે એને સંસારમાં બાંધવા એમણે એનું સગપણ કરી નાખ્યું. કિશોર જલારામને આ ગમ્યું નહી. તેણે નમ્રતાથી પિતાને કહ્યું : " તમે મને સંસારની ઘટમાળમાં શા સારું જોડો છો ? મારે તો ભગવાનની ભક્તિ કરવી છે. "
ત્યારે પિતાએ અને કાકા વાલજીએ એને સમજાવ્યો કે ભાઈ, ' ગૃહસ્થાશ્રમને તું હીણો ન સમજ ! ઘર બાંધીને બેઠા હોઈએ તો કોક દહાડો આપણે ઘેર આપણે ઘેર કોઇને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ વળી ચકલા કબૂતરને ચણ નાખીએ, એ પુન ઓછું નથી. અરે, ઘરમાં કીડી - મકોડી કણ ખાય એનું યે પુન લાગે ! '
ખવડાવવાની વાત જલારામના મનમાં વસી ગઈ. અને સોળ વર્ષની ઉંમરે આટકોટ ગામનાં પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે જલારામનાં લગ્ન થઈ ગયાં.

જલારામ જાત્રાએ

હવે દુકાનમાંથી એનું ચિત ઊઠી ગયું. એકાએક એના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. ભગવાનની જ આજ્ઞા ! એ કાળે જાત્રાએ જવું ઘણું જોખમી હતું. પગે ચાલીને જવાનું. રસ્તા નહી, પુલ નહી, જાનમાલની સલામતી નહી ! ઘરનાં
સૌએ વિરોધ કર્યો. પણ ભગવાનની
આજ્ઞાનું ઉલ્લંઘન કેમ થાય ? ભગવાન લઈ જાય ત્યાં જવાનું એવો જલારામનો નિશ્ચય ફર્યો નહી.
જલારામ જાત્રા પર નીકળી પડ્યા. તે વખતે તેમની ઉંમર માત્ર સતર વર્ષની હતી. ગોકુલમથુરા થઈ બદરીનારાયણ પહોચ્યાં. પછી અયોધ્યા, કાશી, પ્રયાગ, ગયા, જગન્નાથપુરી, રામેશ્વર એમ સકળ તીર્થનાં દર્શન કરી દોઢ-બે વર્ષે એ ઘરે પાછા આવ્યા, ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું.

કાયાતૂટ મજૂરી

જલારામનો સંકલ્પ હતો કે કોઇને બોજારૂપ થવું નહિ અને જાતમહેનતનો જ રોટલો ખાવો અને ખવડાવવો.
તેથી તેમણે ખેતરોમાં મજૂરીએ જવા માંડ્યું. પત્ની વીરબાઇ પણ પતિના પગલે ચાલવા વાળા હતાં. તેઓ પણ પતિની સાથે ખેતરોમાં મજૂરી કરે,દાતરડું લઇ પાક લણે. ભગતને કાયાતૂટ મજૂરી કરતાં જોઇ ખેડૂત કહે :"ભગત, બહુ થયું !" પણ ભગત કહે :"ના,હકનું ખાવું છે. અણહકનું ખાવ તો મારો રામજી રૂઠે!" બેઉ પતિ-પત્ની? રામનામ લે અને કાયાતૂટ મજૂરી કરે. સાંજે જે દાણો મળે તે માથે ઉંચકીને ઘેર લાવે. રસ્તામાં કોઇ ગાડું મળે ને ગાડા વાળો કહે :"ભગત,આવી જાઓ ગાડામાં !" તો ભગત કહે :"ના,બાપ !આ ઢાંઢા બચારા? જીવને શા સારું દુ:ખ દેવું ? અમે તો હાલ્યા જાશું!"
ભગત આવા દયાના સાગર હતાં.

સદાવ્રતની શરૂઆત

એમ કરતાં ભગતની પાસે ચાળીસ મણ દાણો ભેગો થયો. ભગત પત્ની વીરબાઈને કહે : "ભંડારી, ઘરમાં ખાવા-વાળાં આપણે બે જણાં અને આટલા દાણા ભેગા કરીને શું કરીશું ? " ત્યારે વીરબાઈ કહે : " તમે કેમ પૂછો છો તે હું સમજી ગઈ છું, પણ મારા તરફનો કોઈ અંદેશો રાખશો નહી ! રામનું નામ લઈ ભૂખ્યાને ટુકડો આપવાનું શરૂ કરો ! તમે તો જાણો છો કે જે દે ટુકડો તેને ભગવાન ઢુકડો ! "
હવે ભગતે ગુરુચરણે પ્રાર્થના કરી : " મહારાજ, મારે સદાવ્રત બાંધવું છે, આપની આજ્ઞા માગું છું. " ગુરુએ પ્રસન્ન થઈ ભગતના માથે હાથ મૂકી કહ્યું " સૌને સરસ કહેવું, આપ નીરસ થવું, આપ આધીન થઈ દાન દેવું, મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી, દાતાભોક્તા હરિ એમ રહેવું. "
" દેનાર ભગવાન છે અને લેનાર પણ ભગવાન છે, માટે દીધા કર, દીધા કર ! " ભગતની પ્રસન્નતાનો પાર ન રહ્યો. તેમણે સદાવ્રતની શરૂઆત કરી. ( સં. 1876 મહાસુદ બીજ ). એ વખતે એમની ઉમર માત્ર વીસ વર્ષની હતી. ઉંમર નાની, પણ ઈશ્વર શ્રદ્ધા કેવડી મોટી ! સંકલ્પ શક્તિ કેવડી મોટી !

મંદીરની સ્થાપના

સદાવ્રત શરૂ થયાને થોડા દિવસ થયા હશે, એવામાં એક દિવસ એક સંત મહાત્મા આવી ચડ્યા. વીરબાઈએ રોટલા ટીપ્યા અને ભગતે ભાવથી પીરસી સંતને જમાડ્યા. પતિ-પત્નીની સંતસેવા જોઈ મહાત્મા પ્રસન્ન થઈ ગયા તેમણે ભગતને લાલજીની એક મૂર્તી આપી કહ્યું : " ભગત આની સેવા કરજો ! હરિહર તમને રિદ્ધિ-સિદ્ધિની ખોટ આવવા નહી દે ! અને તમારી આ જગ્યામાં આજથી ત્રીજે દિવસે સ્વયં હનુમાનજી પ્રગટ થશે ! "
આમ કહી મહાત્મા ચાલી ગયા અને ખરેખર ત્રીજે દિવસે ભગતની જગ્યામાં હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ. ભગતે ત્યાં જ મંદિર કરી લાલજીની અને હનુમાનજી ની પુજા કરવા માંડી. ત્યાં નાનકડાં આશ્રમ જેવું બની ગયું.

'બાપા'નું બિરુદ

વીરપુરમાં હરજી નામે એક દરજી રહે. એને પેટમાં કંઇ દરદ હતું. તેથી મહિનાઓ થયાં એ પીડાતો હતો અને ધંધો કરી શકતો નહોતો. એવામાં એક દિવસ એને રૂડા પટેલનો ભેટો થઇ? ગયો. હરજી કહે :'પટેલ,પેટની? પીડા હવે નથી ખમાતી. દવા કરી હું થાક્યો !'
રૂડો પટેલ કહે :'તો હવે એમ કર!જલા ભગતની માનતા કર!મારું મન કહે છે કે રોટલાના ટપાકા સાંભળી ભગવાન આવે જ!? તું સાજો થઇ જશે.' હરજીએ? એ જ ઘડી કહ્યું:'હે જલા ભગત !મારા પેટનું દરદ મટે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા દઇશ!'
બન્યું એવું કે એ જ દિવસથી હરજીનું દરદ ઓછું થતું ગયું અને આઠ દિવસમાં એ સાવ સાજો થઇ ગયો. પાંચ માપ દાણા ભગતના પગમાં મૂકી એ એમને પગે લાગ્યો અને બોલ્યો:'બાપા,તમે મને સાજો? કર્યો!'
ભગતે કહ્યું:'ભાઇ,હું? આમાં કંઇ જાણતો નથી. હું તો ભૂખ્યાને? રોટલો આપું છું ને ઠાકરનું નામ દઉં છું .'
ભગતની આ પહેલી માનતા. ત્યારથી તેઓ 'બાપા'નું બિરૂદ પામ્યા. ત્યારે તેઓ માત્ર એકવીસ વર્ષના હતાં.

જલા સો અલ્લા!

સંવત ૧૮૭૮ની આ વાત છે. વીરપુરમાં જમાલ કરીને એક ઘાંચી રહે. પૈસે ટકે સુખી. એનો દસ વર્ષનો દિકરો માંદો પડ્યો. ઘણાં દવાદારૂ કરાવ્યા પણ ત આવ ઉતરે નહિ. વૈદે પણ આશા છોડી દીધી.
એવામાં હરજી દરજીએ જમાલને પોતાના અનુભવની વાત કરી કહ્યું :'જમાલ,ગોફણનો ગોળો ત્રણસો હાથ પહોંચે,બંદૂકની ગોળી હજાર હાથ પહોંચે,તોપનો ગોળો દસહજાર હાથ પહોંચે,પણ જલાબાપાએ ભૂખ્યાંને ખવડાવેલ અન્નનો? દાણો છેક સ્વર્ગના બારણા લગી પહોંચે છે. માટે જલા બાપાની માનતા રાખ, તારો? છોકરો મોતના મોંમાંથી પાછો ફરશે.'
ડૂબતો તરણાને પકડે તેમ જમાલે આ વાતને વધાવી લીધી. એણે કહ્યું:'મારો છોકરો સાજો થાય તો ચાલીસ માપ દાણો જગ્યામાં આપીશ.'
બન્યું એવું કે એ જ રાતના છોકરાનો તાવ નરમ પડ્યો. એણે આંખો ઉઘાડી. એ બચી ગયો. જમાલે ગાડું? ભરીને દાણો જગ્યામાં આપ્યો અને જલા બાપાને પગે લાગી કહ્યું:'જલ્લા સો અલ્લા!જીસકો ન દેવે અલ્લા, ઉસકો દેવે જલ્લા !'
જલા બાપા હવે'જલા સો અલ્લા'કહેવાયા. એ વખ્તે એમની ઉંમર માત્ર બાવીસ વર્ષની હતી.

અજબ ગુરુભક્તિ

બાપાની ગુરુભક્તિનો એક દાખલો છે. એક વાર બાપા જગ્યાનાં ઓટલા પર બેઠા બેઠા ઠાકરના નામની માળા
ફેરવતા હતા. ત્યાં કોકે કહ્યું : " બાપા સાંભળ્યું ? તમારા ગુરુના ગામનો કોળી ચોરી કરતાં પકડાયો છે ને અત્યારે વીરપુરની જેલમાં છે. "
આ સાંભળતા જ બાપા " હે રામ ! હે ઠાકર ! " કરતા ઊઠ્યા ને સીધા ગામના ઠાકોરની પાસે પહોંચી ગયા.
કહે : " બાપુ, એ કોળી તો મારા ગુરુના ગામનો છે. "
ઠાકોર કહે : " માળો પાકો ચોર છે. માંડ પકડાયો છે. "
બાપા કહે : " એ ખરુ પણ મારા ગુરુના ગામનો એટલે એ મારો ગુરુ ભાઈ, મારો પૂજનીય. એને બદલે તમે મને જેલમાં પુરો. હું ચોરીનાં બધા ગુના કબુલી લઉં છું." આમ કહી બાપાએ હાથ જોડ્યા અને માથેથી પાઘડી ઉતારવા જતા હતા, ત્યાં "હા ! હા !" કરી ઠાકરે એમનો હાથ પકડી લીધો ને કહ્યું : " મારા ધન ભાગ્ય કે મારા રાજ્યમાં તમારા જેવા ભક્ત વસે છે. હું કોળી ને છોડી દઉં છું ! "
બાપા કોળીને જગ્યામાં તેડી લાવ્યા અને રોટલા ખવડાવી એને વિદાય કર્યો. જતાં જતાં કોળી બાપાના પગે હાથ મુકી પ્રતિજ્ઞા કરતો ગયો : " કદી ફરી ચોરી નહી કરું ! "

તું માણસ નથી, દેવ છે !

ચોમાસાનાં દિવસો હતા. વરસાદ ધોધમાર પડતો હતો. એવામાં વિચરતી જાતીનાં કેટલાંક લોકો ચાર-પાંચ ગધેડાં લઈને બાપાની જગ્યાની સામે આવી બેઠા. ચાર-પાંચ સ્ત્રીઓ, બે-ચાર છોકરાં એક બે પુરુષો ! બધાં વરસાદમાં થર થર ધ્રુજે !
બાપા પોતે એમની સામે હાથ જોડીને ઊભા ને બોલ્યા : "માવડીયું, શું જોઈએ છે ? લોટદાળ કે રોટલા ? "
સ્ત્રીઓએ લોટદાળ માગ્યાં અને તે લઈને ત્યાંથી બધાં હાલી નીકળ્યાં. થોડીવાર પછી બાપા કહે : " અરે, આ બીચારા ક્યારે તંબુડાં બાંધશે ? ક્યારે રોટલાં ઘડશે અને ક્યારે ખાશે ? "
એમણે એમના સેવકને કહ્યું : "ટીડારામ , આ જોગમાયાઓ વરસતા વરસાદમાં રાંધશે શેનાથી ? "
ટીડો કહે : " બાપા, એની ચિંતા તમે શું કામ કરો છો ? "
બાપા કહે : " અરે મારા ટીડારામ ! એ પણ જીવ છે હોં ! આ બીચાડા કાંઇ રાજીખુશીથી રખડતા નહી હોય હોં ! એ પણ મારા ઠાકરનાં જીવ છે હોં ! અને બાઈયું તો જોગમાયાઓ કહેવાય ! " આમ કહી બાપા ઊઠ્યા. ભંડારમાં જઈ ઘડેલ રોટલાનો મોટો થોકડો ઉપાડી પોતાની પછેડીમાં બાંધ્યો અને એક કોથળામાં છાણાં ભર્યા ; ને રખડતા લોકોને એ દેવા ચાલ્યા.
એ વખતે થાણા દેવડીના દરબાર લખમણવાળા જગ્યામાં મહેમાન હતા, તેમણે આ બધું નજરે જોયું અને તેમના મોંમાંથી ઉદગાર નીકળી પડ્યો : " વાહ બાપા, વાહ ! ધન છે તને અને તારાં માતાપિતાને ! તું માણસ નથી, દેવ છે ! "

બાપાનો ફોટો

તે કાળે ફોટોગ્રાફીની વિદ્યા નવી નવી હતી. એક ગોરાએ એક હિંદીની ભાગીદારીમાં રાજકોટમાં ફોટો પાડવાની દુકાન ખોલી હતી. ગોરો કહે : " મારે પહેલો ફોટો કોઇ સંતનો પાડવો છે. " એટલે એ વીરપુર આવ્યો.
બાપા કહે : " અરે, મારો તે કંઇ ફોટો હોય ? ફોટો લ્યો આ ગાયોનો, આ પારેવાનો, આ સાધુડાઓનો ! " ગોરાએ સામા હાથ જોડ્યા અને બહુ કરગર્યો. કોઇ દુ:ખી થાય એ બાપાને ગમે નહી, એટલે છેવટે એમણે ફોટો લેવા દીધો. ફોટામાં એક આંખ જરા મીંચાઈ ગઈ હતી. બાપાનો આ એક જ ફોટો ખેંચાયેલો છે.
બાપા નીચે ઘાટે રહેતા હતા. નહી દુબળા કે નહી જાડા ! ગોઠણ સુધીનું અંગરખું અને ટૂંકી પોતડી પહેરતા. માથે મોટી પાઘડી બાંધતા. બાપાના ડાબા ગાલે લાખું હતું. એક હાથમાં લાકડી રાખતા અને માળા ફેરવતા જતા. આખો દી રામ રામ જપ્યા કરે.

જલારામ બાપાના ભજનો

બાપા અવારનવાર ગામડે જતાં. બાપા પધાર્યા છે એવું સાંભળે એટલે આસપાસના ગામોમાંથી પણ લોકો ત્યાં ઉમટી પડે. સૌ જમે અને પછી ઘરધણીના ફળીયામાં ભજનમંડળી જામે. બાપા પોતે પણ હાથમાં કરતાલ લે અને મંડે ભજન લલકારવા.
રાધે ! રાધે ! રાધે !
ગોકુળમાં ગોવિંદ રાધે !
એમ એક પછી એક ભજન ગવાતા જાય અને રાત જામતી જાય. બાપાનો કંઠ પણ એવો મધુર હતો. મધુર કંઠમાં અંતરનો મધુર ભાવ ભળે, પછી શું બાકી રહે ? સાંભળનારા ડોલી ઊઠે.
બાપા લહેરમાં આવી જાય એટલે ભજનિકોને તાન ચડે. તબલાં વાળો તબલાં મેલી ઊભો થઈ જાય અને બાપાને તેડી લઈ મંડે ફેર ફુદરડી ફરવા ! આનંદની અવધી થઈ જાય !

ગોરાએ સલામ ભરી !

રાજકોટમાં અંગ્રેજ સરકારનો ગોરો હાકેમ રહેતો હત. જુનાગઢથી ચાર ઘોડેસવારો જરૂરી કગળીયાં લઈને રાજકોટ આવતા હતા, ત્યાં રસ્તામાં વીરપુરનાં પાદરમાં બાપાએ એમને રોક્યા ને જમાડ્યા પછી જ જવા દીધા. આથી એ ઘોડેસવારો રાજકોટ સમય કરતાં મોડા પહોચ્યાં. તેથી ગોરો બાપા પર ખીજાયો, કહે : "ખવડાવવાની એની ખો ભુલાવી દઉં ! "
એણે પચીસ-પચીસની ટુકડીમાં દોઢસો સવારો વીરપુરનાં પાદરમાં થઈને નીકળે તેવી ગોઠવણ કરી. બાપા એમના નિયમ મુજબ પાદરે આંટો મારતા હતા. પહેલી ટુકડીને તેમણે જમવા રોકી, ત્યાં બીજી, ત્રીજી એમ છ ટુકડીઓ આવી, સાથે એમનો ગોરો સાહેબ હતો. ગોરો કહે : "જમવા કાજે થોભવાનો અમને વખત નથી. " બાપા કહે : " થોભવું નહી પડે ! "
તરત જ દોઢસોયે સવારોને જગ્યામાં લઈ જઈ બાપાએ એક પંગતમાં જમવા બેસાડી દીધા, અને દરેકને બે બે રોટલા ગરમાગરમ અને એકેક તાંસળી દાળ પીરસી દીધાં ! એમનાં ઘોડાની પણ બાપાએ બરાબર સંભાળ લીધી.
ગોરો સ્તબ્ધ થઈ ગયો. ટોપો ઉતારી એણે બાપાને સલામ ભરી !

બાપા માંદા પડ્યા

વીરબાઈમા અને જલારામ બાપા બંને હવે પાકી વૃદ્ધાવસ્થામાં હતાં. સં. 1935ના કારતક વદ નોમ, સોમવારે વીરબાઈમાએ દેહ-ત્યાગ કર્યો. બાપાએ સાત દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી.
બાપાને પણ હવે હરસનો વ્યાધી સતાવતો હતો. રોજ હજારો ભક્તો તેમનાં દર્શન માટે આવતા. વીરબાઈમાને સાધુને અર્પણ કરતાં પહેલાં બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. હરિરામ હજી બાળક હતા. તેથી ભક્તો ચિંતા કરતા કે કેમ થશે ?? પણ બાપા કહે : " હરિરામનો સહાયક હરિ સમર્થ છે, હું જીવતાં લાખનો અને મૂઆ પછી સવા લાખનો હોઈશ અને એ વાત સત્ય માનજો ! કારણ મારો ઠાકર સમર્થ છે. "
બાપાની માંદગીમાં ગલાલબહેન એમને જોવા આવ્યાં હતા. વીરપુરથી છ ગાઉ પર ઉમરાળી ગામે ગલાલબહેન ના સગા ભાઈ રહેતા હતા ; એથી ગલાલબહેન બાપાને કહે : " વીરા, હું જરી ઉમરાળી જઈ આવું. "
બાપા કહે : " જાઓ, પણ એંક રાતથી વધારે રોકાતા નહી ! "

બાપા દેવ થયા !

ગલાલબહેન ઉમરાળી ગયાં, પણ ભાઈએ એક દીવસ વધારે રોક્યાં. ત્રીજે દીવસે એ વીરપુર આવવા નીકળ્યાં. ત્યાં રસ્તામાં એમને જલારામ બાપા મળ્યાં. એમના હાથમાં પાણીની ભંભલી હતી, અને કહે : " બહેન, તાપ છે, તું થાકી હશે, તેથી તારા વાસ્તે પાણી લાવ્યો છું. " આમ કહી એમણે બહેનને ઠંડું પાણી પાયું ને પછી બહેનની જોડે ચાલ્યા. વીરપુર પાસે આવ્યું એટલે કહે : "બહેન સાધુસંત આવ્યા હશે. હું જરી ઉતાવળો જાઉં. " એમ કહી એ ઉતાવળે પગલે આગળ ચાલી ગયા ને દેખાતા બંધ થયા. ગલાલબહેન વીરપુરના પાદરમાં પહોચ્યાં ત્યાં એમણે ચેહ બળતી જોઇ. આખું ગામ ધ્રુસ્કે ધ્રુસ્કે રોતું હતું.
ગલાલબહેન પૂછે છે : " હેં ! કોણ ગુજરી ગયું ? "
જવાબ મળ્યો : " બાપા દેવ થયા ! " ગલાલબહેન સ્તબ્ધ થઈ ગયાં, કહે : " બાપા તો મને હમણા રસ્તામાં પાણી પાઈ ગયા ! " પછી એ સમજી કે હું ભાઈને ભૂલી, પણ ભાઈ મને ભૂલ્યા નથી.
સંવત 1937 મહા વદ દશમે બુધવારે ( તા. 23-2-1881 ) બાપાએ ભજન કરતાં કરતાં, એક્યાશીમાં વર્ષે વૈકુઠવાસ કર્યો.

વિમાન આવ્યું !

વીરપુરમાં ટીલિયો કરીને એક લોહાણો હતો બાપા જ્યારે મળે ત્યારે એ એમની હાંસી ઉડાવવા કહેતો : " કાં ભગત ! ઠાકરની બહું સેવા કરો છો તે વૈકુઠનું વિમાન ક્યારે આવે છે ?"
બાપા હસીને કહેતા : " આવશે ત્યારે તને કહીશ. "
ટીલિયો કહે : " તો મનેય જોડે લઈ જજો હોં ! "
બાપાએ દેહ છેડ્યો તે દિવસે ટીલિયો જેતપુરથી હટાણું કરી ઘેર આવતો હતો. ત્યાં રસ્તામાં એણે ફક્કડ રથ જોયો, એમા બાપા બેઠેલા હતા. બાપાએ કહ્યું : " ટીલીયા, આવી જા આ વિમાનમાં ! તને તેડવાં આવ્યો છું. "
ટીલિયો કહે : " ખોટી વાત ! "
બાપા કહે : " ખરું કહું છું, આવી જા ! "
ટીલિયો કહે : " ઊંહું ! "
પછી ટીલિયો ઘેર આવ્યો ત્યારે જાણ્યું કે બાપા દેવ થયા. હવે એને ખાતરી થઈ કે બાપા એમના વચન પ્રમાણે મને તેડવા આવેલા એ સાચું. એના પસ્તાવાનો પાર ન રહ્યો. પણ હવે શું થાય ?


બોલો જલારામ બાપા કી જય