Sunday, June 20, 2010

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૧


૧. સૂર્યવંશી દશરથ રાજા


ત્રેતાયુગમાં ગંગા નદીની ઉત્તરે આવેલી સરયૂ નદીને કિનારે કૌશલ નામનું વિશાળ રાજ્ય હતું. આ રાજ્ય ધન-ધાન્યથી ભરપૂર, સુખી અને સમૃદ્ધ હતું. અયોધ્યા તેની રાજધાની હતી. તેમાં દશરથ રાજા રાજ્ય કરતા.
અયોધ્યાની લંબાઈ બાર યોજન એટલે ૬૦ કિલોમીટર અને પહોળાઈ ત્રણ યોજન એટલે ૧૫ કિલોમીટર હતી. તેની ચારે તરફ ભેદી ન શકાય તેવી દીવાલ હતી. તેની ઉપર સેંકડો તોપો ગોઠવેલી હતી. દીવાલની આસપાસ ઊંડી ખાઈ હતી. હજારો સૈનિકો રાત-દિવસ આ નગરીની રક્ષા કરતા. આ નગરી અજેય અને દુર્ગમ હોવાથી જ તેનું નામ અયોધ્યા રાખવામાં આવ્યું હતું. અયોધ્યા એટલે યુદ્ધમાં જીતી ન શકાય એવી નગરી.
દશરથ રાજા વિદ્વાન, નીતિવાન, બુદ્ધિમાન અને શૌર્યવાન હતા. તે યુદ્ધમાં એકલે હાથે દસ હજાર મહારથીઓને હરાવી શકતા. તેથી તેમને અતિરથી તરીકે પણ ઓળખવામાં આવતા. એમની પાસે કુબેર જેટલી સંપત્તિ હતી. એમનાં અમાપ બળ, બુદ્ધિ અને ધનને કારણે તે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ હતા. તે પોતાની પ્રજાની સુખાકારીનું હંમેશ ધ્યાન રાખતા. તેથી અયોધ્યાની પ્રજા એમને ખૂબ ચાહતી. દશરથના રાજ્યમાં કોઈ પણ નાગરિક દુઃખી કે નિર્ધન નહોતો.
ધૃષ્‍ટ, જયન્ત, વિજય, સુરાષ્‍ટ્ર, રાષ્‍ટ્રવર્ધન, અકોપ, ધર્મપાલ અને સુમંત્ર એ આઠ બુદ્ધિશાળી મંત્રીઓ દશરથ રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરતા હતા. સુમંત્ર અર્થશાસ્ત્રના વિદ્ધાન હતા.
સુયજ્ઞ, જાબાલિ, કશ્યપ, ગૌતમ, માર્કણ્ડેય અને કાત્યાયન જેવા ઋષિઓ પણ રાજાના મંત્રીમંડળમાં સામેલ હતા.
બધા મંત્રીઓ કાબેલ, વિદ્વાન અને ન્યાયી હતા. તેથી દશરથ રાજા સુખ, સંપત્તિ અને ઐશ્વર્ય ભોગવી રહ્યા હતા.
મહર્ષિ‍ વસિષ્‍ઠ અને વામદેવ દશરથ રાજાના મુખ્ય રાજપુરોહિત હતા.
દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. રાજમહેલમાં અપાર સુખ અને સમૃદ્ધિ હોવા છતાં રાજાને તેમનું જીવન સૂનું સૂનું લાગતું હતું; કારણ કે હવે તે વૃદ્ધ થતા જતા હતા, પણ તેમને એકેય સંતાન નહોતું. રાજાને એ વાત સતત કોરતી હતી કે એમના પછી એમનો વંશ આગળ ચાલશે શી રીતે ? યોગ્ય વારસદારના અભાવમાં અયોધ્યાનું રાજ્ય કોણ સંભાળશે ? આ ચિંતાને લીધે દશરથ રાજા નિરાંતે સૂઈ શકતા નહોતા.





૨. પુત્રેષ્ટિ યજ્ઞ


દશરથ રાજાને સંતાન નહોતું. તેથી રાજા અને તેમની ત્રણ રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ઉદાસ રહેતાં. રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવાનું નક્કી કર્યું. મહાન તપસ્વી ઋષ્‍યશૃંગને આ યજ્ઞના આચાર્ય તરીકે આમંત્રણ આપવામાં આવ્યું.
પુત્રેષ્ટિ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. દશરથ રાજાએ વેદમંત્રોના મંગલ ધ્વનિ સાથે અગ્નિકુંડમાં આહુતિઓ આપી. એમણે યજ્ઞમાં છેલ્લી આહુતિ આપી ત્યારે યજ્ઞજ્વાળાઓની વચ્ચે સાક્ષાત્ અગ્નિદેવતા પ્રગટ થયા. તે આચાર્ય ઋષ્‍યશૃંગના હાથોમાં ખીરથી ભરેલું સોનાનું પાત્ર મૂકી અંતર્ધ્યાન થઈ ગયા. દશરથને એ પાત્ર આપતાં ઋષ્‍યશૃંગે કહ્યું, "આ યજ્ઞનો પ્રસાદ છે. આ ખીરનું સેવન કરવાથી તમારી રાણીઓને પુત્ર થશે."
રાજાએ ખીરનું પાત્ર કૌશલ્યાને આપતાં કહ્યું, "તમે ત્રણેય રાણીઓ યજ્ઞનો આ પ્રસાદ ગ્રહણ કરી લો."
કૌશલ્યાએ અડધી ખીર લીધી ને બાકીની અડધી ખીર સુમિત્રાને આપી. સુમિત્રાએ એમાંથી અડધી ખીર પોતાની પાસે રાખીને બાકીની ખીર કૈકેયીને આપી. કૈકેયીએ તેમાંથી અડધી ખીર લઈને અડધી ખીર સુમિત્રાને પાછી આપી. સુમિત્રાએ એ ખીર પણ ગ્રહણ કરી.

છ ઋતુઓ પસાર થયા પછી ચૈત્ર માસના શુકલપક્ષમાં નોમને દિવસે કૌશલ્યાએ રામને જન્મ આપ્‍યો. આજે પણ આપણે આ દિવસને રામનવમી તરીકે ઉજવીએ છીએ. રાણી સુમિત્રાએ ણે બે પુત્રોને જન્મ આપ્‍યો : લક્ષ્‍મણ અને શુત્રુધ્ન. કૈકેયીએ એક પુત્રને જન્મ આપ્‍યો. તેનું નામ ભરત રાખવામાં આવ્યું.
રાજાએ દબદબાભેર પુત્રજન્મનો ઉત્સવ ઉજવ્યો. ખુશી અને વધામણીના અવાજોથી આખો રાજમહેલ ગાજી ઊઠ્યો.
દેવોએ રાક્ષસોનો ત્રાસ દૂર કરવા માટે ભગવાન વિષ્‍ણુને પ્રાર્થના કરી હતી. એટલે ભગવાન વિષ્‍ણુએ જ દશરથના પુત્ર રામ રૂપે જન્મ લીધો હતો.
દશરથને ત્યાં ચાર પુત્રોનો જન્મ થતાં સ્વર્ગમાં પણ પુષ્‍કળ આનંદ છવાઈ ગયો?
આ ચારેય રાજકુમારો ખૂબ તેજસ્વી અને સુંદર હતા. રામ અને લક્ષ્‍મણ સદાય સાથે જ રહેતા હતા. જ્યારે શત્રુધ્ન અને ભરતની જોડી સારી જામતી હતી.
મહર્ષિ‍ વસિષ્‍ઠે એમને સંસ્કાર અને શિક્ષણની તાલીમ આપી. ચારે રાજકુમારો વેદોનો સ્વાધ્યાય અને ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી વિદ્વાન અને શૂરવીર બન્યા. રાજકુમારો જન્મથી જ સમાજદાર હતા, હવે વિદ્યા મેળવીને સદ્દગુણોથી પણ સંસ્કારિત થયા. દશરથ રાજાના ચાર પુત્રોમાં રામ સૌથી વધુ તેજસ્વી હતા. એમનું ચરિત્ર ચન્દ્ર જેવું સ્વચ્છ અને શીતળ હતું. તેથી એમને સૌનો અપાર પ્રેમ મળવા લાગ્યો. લક્ષ્‍મણ સદાય રામની સાથે રહી તેમની સેવા કરવા તત્પર રહેતા.





૩. મહર્ષિ‍ વિશ્વામિત્રનું આગમન

રાજકુમારો યુવાન થયા ત્યારે એક દિવસ મહર્ષિ‍ વિશ્વામિત્ર અયોધ્યા પધર્યા. રાજાએ મહર્ષિ‍ વિશ્વામિત્રનું આદરપૂર્વક સ્વાગત કર્યું. રાજાએ હાથ જોડીને એમને પૂછ્યું, "હે મહાન તપસ્વી ! આપના આગમનથી અયોધ્યાનગરી ધન્ય થઈ છે. આજ્ઞા કરો, હું આપની શી સેવા કરી શકું?"
વિશ્વામિત્રએ કહ્યું, "રઘુવંશી રાજા ! હું એક યજ્ઞ કરી રહ્યો છું. રાક્ષસરાજ રાવણના બે અનુયાયીઓ મારીચ અને સુબાહુ મારા યજ્ઞમાં વિધ્ન નાખે છે. તેથી મારો યજ્ઞ અધૂરો રહી જાય છે. હું પોતે શાપ વડે રાક્ષસોનો નાશ કરી શકું. પણ યજ્ઞ શરૂ કર્યા પછી મારાથી શાપનો ઉપયોગ ન કરી શકાય એવો આ યજ્ઞનો નિયમ છે. એટલે હું તમારા પુત્ર રામને મારા યજ્ઞની રક્ષા કરવા માટે મારી સાથે લઈ જવા આવ્યો છું. તમે રામને મારી સાથે મોકલી આપો. તેની મદદથી હું મારો યજ્ઞ પૂરો કરી"
મહર્ષિ‍ વિશ્વામિત્રની આવી માગણી સાંભળીને રાજા ભયભીત થઈ ગયા. એમણે વિશ્વામિત્રને વિનંતી કરી, "હે મહર્ષિ‍ ! દેવ, દાનવ અને ગંધર્વ પણ રાક્ષસરાજ રાવણનો સામનો કરી શકે તેમ નથી. રામ તો હજુ સત્તર વર્ષના બાળક છે. હું યજ્ઞની રક્ષા કરવા આપની સાથે આવીશ. તેથી આપ તેને સાથે લઈ જવાનું માંડી વાળો. "

દશરથની વાત સાંભળી વિશ્વામિત્ર ગુસ્સે થઈ ગયા. એમણે દશરથને કહ્યું, "હે રાજા ! તમે રામને મારી સાથે ન મોકલવાના હો, તો મને એ સ્પષ્‍ટ જણાવી દો. એટલું યાદ રાખજો કે એનાથી ત્રણે લોકમાં તમારી અને તમારા કુળની? ભારે અપકીર્તિ થશે."
મહર્ષિ‍ વસિષ્‍ઠે દશરથને સમજાવતાં જણાવ્યું, "હે રાજા, તમે ચિંતા કર્યા વિના રામને મહર્ષિ‍ વિશ્વામિત્રની સાથે મોકલી આપો. તેની સાથે લક્ષ્‍મણને પણ મોકલો. વિશ્વામિત્ર જ્ઞાન, શક્તિ અને સામાર્થ્યમાં ત્રણે લોકમાં અજોડ છે. એ ત્રિકાલદર્શી છે. એ તમારા પુત્રોનું ભલું કરવા માટે જ એમને લઈ જઈ રહ્યા છે. માટે તમે ભય રાખ્યા વિના તેમની સાથે રામ અને લક્ષ્‍મણને મોકલી આપો. "
મહર્ષિ‍ વસિષ્‍ઠનું સાંત્વન મળતાં રાજાનો ભય દૂર થઈ ગયો. તેમણે પ્રસન્નતાથી રામ અને લક્ષ્‍મણને વિશ્વામિત્રની સાથે વિદાય કર્યા.
સરયૂના કિનારે ચાલતાં ચાલતાં અયોધ્યાથી દૂર ગયા પછી વિશ્વામિત્રએ રામ-લક્ષ્‍મણને બલા અને અતિબલા નામની વિદ્યા આપી. એના પ્રભાવથી તેમનામાં અદ્દભુત આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો. હવે તેઓ શ્રમ અને અણધારી આપત્તિઓથી સુરક્ષિ‍ત થઈ ગયા હતા.




૪. તાડકાનો વધ

વિશ્વામિત્ર અને રામ-લક્ષ્‍મણ ચાલતાં ચાલતાં એક ઘોર જંગલ પાસે આવી પહોંચ્યા. વિશ્વામિત્રે કહ્યું, "અહીં ઘણાં વર્ષો પહેલાં મલય અને કરુષ નામનાં બે સમૃદ્ધ નગરો હતાં. એ નગરો દેવોએ વસાવ્યાં હતાં. યક્ષિ‍ણીમાંથી રાક્ષસી બની ગયેલી તાડકાએ એ નગરોનો નાશ કરી દીધો છે. એ સુન્દની પત્ની અને મારીચની માતા છે. એના પ્રભાવવાળો આ વિસ્તાર તાડકાવનને નામે ઓળખાય છે. હવે આપણે તાડકાવનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તેથી તમે બરાબર સાવધ રહેજો."
રામે એ વનમાં પ્રવેશ કરતાં જ એમના ધનુષ્‍યનો ટંકાર કર્યો, એના ભયાનક અવાજથી ચારે દિશાઓ ગાજી ઉઠી અને તાડકા ધ્રુજી ઊઠી. એ રોષપૂર્વક અવાજની દિશામાં દોડી આવી ત્યારે ધનુષ્‍યબાણ લઈને ઊભેલા રામ-લક્ષ્‍મણ ઉપર તેની નજર પડી. તાડકાએ તેમની ઉપર પથ્થરો વરસાવ્યા. રામે બાણવર્ષા કરી એ પથ્થરોને નીચે આવતા અટકાવી દીધા.
તેથી તાડકા ક્રોધે ભરાઈને, રામ-લક્ષ્‍મણ તરફ ધસી આવી. રામે ચપળતાપૂર્વક એક બાણ વડે તેની છાતી વીંધી નાખી. તાડકા મૃત્યુ પામી.
તાડકાનો વધ થઈ ગયા પછી એમણે વિશ્રામ કર્યો. વિશ્વામિત્રે રામને દંડચક્ર, ધર્મચક્ર, કાલચક્ર, વિષ્‍ણુચક્ર, ઐન્દ્રચક્ર, બ્રહ્મશિરાસ્ત્ર, ત્રિશૂળ, વજ્રાસ્ત્ર, ઐષિવાસ્ત્ર, બ્રહ્માશસ્ત્ર, ધર્મપાશ, કાલપાશ, વરુણપાશ જેવાં દિવ્ય શસ્ત્રાસ્ત્રો અને મોદકી તથા શિખરી નામની ગદાઓ આપી.
વિશ્વામિત્રે આ દિવ્યાસ્ત્રોનો ઉપયોગ કરવાની વિદ્યા શીખવી. રામે વિશ્વામિત્રને પ્રણામ કરી એમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. ફરીથી એમની આગળની યાત્રાનો પ્રારંભ થયો. રસ્તામાં વિશ્વામિત્રે રામને એ બધાં શસ્ત્રોનો મહિમા સમજાવી બીજાં પણ અનેક શસ્ત્રો આપ્‍યાં. એ શસ્ત્રો ઇચ્છાધારી અને દિવ્ય હતાં.
તેઓ થોડી વારમાં એક પર્વતની પાસે આવી પહોંચ્યા. વિશ્વામિત્રે રામને કહ્યું, "આ સ્થળને સિદ્ધાશ્રમ કહે છે. અહીં ભગવાન વિષ્‍ણુએ ઘોર તપસ્યા કરીને અમોઘ સિદ્ધિ મેળવી હતી આ સ્થાન પવિત્ર છે. તેથી હું અહીં રહું છું. મેં અહીં યજ્ઞ શરૂ કર્યો છે. મારીચ, સુબાહુ અને બીજા રાક્ષસો અહીં આવીને એમાં ભંગ પાડે છે. તમારે એમનો વધ કરવાનો છે."

વિશ્વામિત્રે મૌનવ્રત ધારણ કરીને એમનો પવિત્ર યજ્ઞ શરૂ કર્યો. પાંચ દિવસ સુધી તો યજ્ઞમાં કોઈ વિધ્ન આવ્યું નહીં. પણ છઠ્ઠા દિવસે કેટલાક રાક્ષસોની સાથે મારીચ અને સુબાહુ ત્યાં આવી પહોંચ્યા. એમણે આકાશમા;થી જ યજ્ઞવેદી પર રક્ત નાખવાનું શરૂ કર્યું. રામે મારીચ પર માનવાસ્ત્રનો પ્રયોગ કર્યો. તેના પ્રહારથી મારીચ યોજનો દૂર સમુદ્ર-કિનારે જઈ પડ્યો અને મૂર્છિત થઈ ગયો. એને જ્યારે ભાન આવ્યું ત્યારે તે ભયનો માર્યો નાસી ગયો. રામે સુબાહુને આગ્નેયાસ્ત્ર વડે હણી નાખ્યો. અને વાયવ્યાસ્ત્ર વડે બાકીની રાક્ષસસેનાનો સંહાર કર્યો.
રાક્ષસોનો સંપૂર્ણ નાશ થઈ જતાં વિશ્વામિત્રનો યજ્ઞ નિર્વિધ્ને પૂરો થઈ ગયો. વિશ્વામિત્રે રામને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્‍યા.
રામ-લક્ષ્‍મણે વિશ્વામિત્ર ને પ્રણામ કરીને કહ્યું, "અમે બંને આપની સેવામાં ઉપસ્થિત છીએ. હવે પછી અમારે જે નવી કામગીરી કરવાની હોય, તેની આજ્ઞા આપો."
વિશ્વામિત્રે એમને કહ્યું, "પુત્રો, મિથિલાના રાજા જનક એક ધનુષ્‍યયજ્ઞ કરી રહ્યા છે. અમારે એ યજ્ઞમાં જવાનું છે. તમે બંને પણ અમારી સાથે ચાલો. જનક રાજાની પાસે ભગવાન શિવનું સુનાભ નામનું એક પૌરાણિક ધનુષ્‍ય છે. એ ધનુષ્‍ય એટલું વજનદાર છે કે દેવ, ગાંધર્વ, અસુર કે મનુષ્‍ય કોઇ તેને ઊંચકીને તેની પણછ ચડાવી શકતું નથી.
?અનેક રાજાઓ ધનુષ્‍યયજ્ઞમાં હાજરી આપવા માટે મિથિલામાં પધારશે. મહારાજ જનકે એવી પ્રતિજ્ઞા કરેલી છે કે જે કોઈ સુનાભ ધનુષ્‍યને ઊંચકીને તેની પણછ ચડાવી શકશે, તેની સાથે તે પોતાની પુત્રી સીતાનો વિવાહ કરશે. મિથિલામાં તમને આ દિવ્ય અને અદ્દભુત ધનુષ્‍ય જોવાની તક મળશે."





૫. રામ અને લક્ષ્‍મણ મિથિલામાં

મહર્ષિ‍ વિશ્વામિત્ર, રામ અને લક્ષ્‍મણ મિથિલા જવા માટે નીકળ્યા. આ યાત્રા દરમ્યાન વિશ્વામિત્રે રામ-લક્ષ્‍મણને અનેક કથાવાર્તાઓ સંભળાવી.
તેઓ મિથિલા પાસે આવી પહોંચ્યા ત્યારે તેમણે એક ભેંકાર થઈ ગયેલો આશ્રમ જોયો. રામે એ આશ્રમ વિશે જાણવાની ઉત્સુકતા બતાવતાં વિશ્વામિત્રે જણાવ્યું, "એક સમયે ગૌમત ઋષિ અને એમનાં પત્‍ની અહલ્યા અહીં રહેતાં હતાં. દેવરાજ ઇન્દ્ર અહલ્યા પ્રત્યે આકર્ષાયો હતો. એક સવારે ગૌતમ ઋષિ નદી પર સ્નાન કરવા ગયા, ઇન્દ્ર ઋષિનું રૂપ લઈને એમના આશ્રમમાં પેસી ગયો. ઇન્દ્ર આશ્રમમાંથી નીકળીને પાછો ફરી રહ્યો હતો ત્યારે ગૌતમ ઋષિએ એને જોઈ લીધો. ઋષિએ ક્રોધિત થઈને અહલ્યાને પથ્થર થઈ જવાનો શાપ આપી આશ્રમ છોડીને જતા રહ્યા. ત્યારથી શિલાના રૂપમાં ફેરવાઈ ગયેલી અહલ્યા મનમાં રામનામનું રટણ કરીને એના દિવસો વિતાવી રહી છે."
આ વાત સાંભળીને રામને અહલ્યા પર દયા આવી. રામે શિલાના રૂપમાં પડેલી અહલ્યાનો સ્પર્શ કર્યો. રામનો સ્પર્શ થતાં અહલ્યા શાપમુક્ત થઈ ગઈ અને પાછી તેના મૂળ સ્વરૂપમાં આવી ગઈ. રામ-લક્ષ્‍મણ અને વિશ્વામિત્ર અન્ય ઋષિઓની સાથે મિથિલામાં આવી પહોંચ્યા.
જનક રાજા, રાજપુરોહિત શતાનંદ તથા અન્ય ઋષિઓએ નગરની બહાર આવી વિશ્વામિત્રનું સ્વાગત કર્યું. જનકે રામ-લક્ષ્‍મણને જોઈને વિશ્વામિત્રને પૂછ્યું, "આ સુંદર કિશોરો કોણ છે ?" વિશ્વામિત્રે જનકને રામનાં પરાક્રમો વિશે વાત કરી અને કહ્યું, "આ બંને કૌશલનરેશ દશરથના પુત્રો છે. તમારું સુનાભ નામનું પૌરાણિક શિવધનુષ્‍ય બતાવવા હું એમને મારી સાથે લાવ્યો છું."

જનક રાજાએ વિશ્વામિત્રની સ્તુતિ કરીને ઉદ્યાનમાં એમના નિવાસની વ્યવસ્થા કરાવી.
લક્ષ્‍મણને મિથિલા નગરી જોવાની ઇચ્છા હતી. તેથી રામ વિશ્વામિત્રની રજા લઈને લક્ષ્‍મણ સાથે નગરનું અવલોકન કરવા માટે નીકળ્યા.
મહર્ષિ‍ વિશ્વામિત્ર સાથે આવેલા એ અદ્દભુત રાજકુમારો નગરમાં ફરવા નીકળ્યા છે, એ સમાચાર આખા નગરમાં વાયુવેગે પ્રસરી ગયા. રામ અને લક્ષ્‍મણ નગરમાં ફરવા નીકળ્યા ત્યારે નગરના આબાલવૃદ્ધ સૌ તેમને જોવા માટે પોતાના ઘરના ઝરૂખા કે આંગણામાં અને રસ્તાઓ પર ઊમટી પડ્યા. મિથિલાની નારીઓ આ બંને રાજકુમારોને જોઈને એટલી બધી ખુશ થઈ ગઈ કે એમણે ઠેર ઠેર રાજકુમારો પર ફૂલો વરસાવી તેમનું સ્વાગત કર્યું.

બીજા દિવસે વહેલી સવારે બંને રાજકુમારો પૂજા માટે ફૂલો લેવા જનક રાજાની ફૂલવાડીમાં ગયા.વસંત ઋતુનો સમય હતો. તેથી ફૂલના છોડ, વૃક્ષ અને વેલીઓને નવાં નવાં પાંદડાં ફૂટ્યાં હતાં. બાગની વચ્ચે એક સુંદર સરોવર હતું. તેને રત્નજડિત પગથિયાં હતાં. સરોવરના સ્વચ્છ જળમાં રંગબેરંગી કમળો ખીલી ઊઠ્યાં હતાં અને ઘણાં જળચર પક્ષીઓ પાણીમાં તરતાં તરતાં કલનાદ કરી રહ્યાં હતાં.
ફૂલવાડીની શોભા નીરખીને રામ અને લક્ષ્‍મણનું હૈયું આનંદથી છલકાઈ ગયું. એમણે માળીની રજા લઈ બગીચામાંથી ફૂલો ચૂંટવાની શરૂઆત કરી.


બોલો શ્રી રામચંદ્ર કી જય 

No comments:

Post a Comment