Thursday, June 24, 2010

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૪







૧૬. રામ દંડકારણ્યમાં


ભરતની વિદાય પછી રામ, સીતા અને લક્ષ્‍મણ ચિત્રકૂટ છોડીને દંડકારણ્ય તરફ આગળ વધ્યાં. તેમણે રસ્તામાં મહર્ષિ‍ અત્રિ અને માતા અનસૂયાના આશ્રમમાં રોકાણ કર્યું. સતી અનસૂયાએ સીતાને કદી મેલાં થાય નહીં અને નાશ પામે નહીં એવા દિવ્ય વસ્ત્રો અને આભૂષણો આપ્‍યાં.
ત્યાર પછી અત્રિ અને અનસૂયાની વિદાય લઈને રામે દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. ઠેર ઠેર ઋષિમુનિઓના આશ્રમો હોવાથી વેદમંત્રોનો મંગલ ધ્વનિ થઈ રહ્યો હતો. કેટલાક ઋષિઓએ રામને મળીને રાક્ષસોના ત્રાસ વિશે ફરિયાદ કરી. રામે તેમની એ સમસ્યા દૂર કરવાની ખાતરી આપી. તેમણે આ ‍‍ઋષિ-મુનિઓની સાથે એક રાત્રિ વિતાવી.
બીજા દિવસે રામ આગળ ચાલ્યા. તે એક ગાઢ વનમાં પ્રવેશ્યા. ત્યારે વિરાધ નામના એક રાક્ષસે સીતા પર હુમલો કર્યો. રામે તેની ઉપર અનેક બાણોની વર્ષા કરી. વિરાધે રામ-લક્ષ્‍મણને પોતાના બે વિરાટ બાહુઓ વડે જકડી લીધા. તેમણે વિરાધના બંને હાથ તોડી નાખ્યા. પછી એમણે એક મોટો ખાડો ખોદી તેમાં વિરાધને જીવતો દાટી દીધો.
રામ, લક્ષ્‍મણ અને સીતા ત્યાંથી નીકળીને અગત્સ્ય ઋષિના પુત્ર સુતીક્ષ્‍ણ મુનિના આશ્રમમાં પહોંચ્યા. તેમણે પણ રામને દંડકારણ્યમાંથી રાક્ષસોનો ત્રાસ દૂર કરવા વિનંતી કરી.
રામ-સીતા અને લક્ષ્‍મણે દંડકારણ્યમાં દસ વર્ષ વિતાવ્યાં અને અનેક રાક્ષસોનો સંહાર કર્યો. ત્યાર બાદ ફરીથી તેઓ મહર્ષિ‍ અત્રિના આશ્રમમાં આવ્યાં. અત્રિએ તેમને મહર્ષિ‍ અગસ્ત્યના આશ્રમે જવાનું સૂચન કર્યું. એટલે તે અગત્સ્યના આશ્રમમાં જવા માટે નીકળ્યા.

અગસ્ત્ય ‍ઋષિએ પોતાના અરણ્યમાં એ ત્રણેયનું ઉમળકાભેર સ્વાગ કર્યું. ત્યાર પછી મહર્ષિ‍ અગસ્ત્યે રામને દિવ્ય શસ્ત્રાસ્ત્રો આપ્‍યાં. એમાં વિષ્‍ણુનું મહાધનુષ્‍ય, બ્રહ્માનું અમોઘ બાણ, ઇન્દ્ર પાસેથી મળેલાં અક્ષય ભાથાં અને સોનાની મૂઠવાળું ખડ્ગ હતાં. એમણે રામને જણાવ્યું : "અહીંથી બે યોજન દૂર, ગોદાવરીના કિનારે પંચવટી નામનું રમણીય સ્થળ છે. તમે તમારા વનવાસનાં બાકી રહેલાં વર્ષો ત્યાં પસાર કરી શકશો."
પંચવટી તરફ જતાં રસ્તામાં એમને એક વિરાટ ગીધનો ભેટો થઈ ગયો. રામે માન્યું કે એ રાક્ષસ હશે પણ ગીધરાજે એમને ઓળખી લીધા હતા. એણે રામને પોતાનો પરિચય આપતાં કહ્યું, "હું તમારા પિતા દશરથનો મિત્ર જટાયુ છું. તમારા વનવાસ દરમ્યાન હું તમને બધી રીતે મદદરૂપ થઈશ."
રામ જટાયુને માનપૂર્વક પોતાની સાથે પંચવટીમાં લઈ ગયા.






૧૭. ખર અને દૂષણનો વધ


પંચવટીમાં ગોદાવરી નદીના કિનારે લક્ષ્‍મણે એક રમણીય કુટિર બનાવી દીધી.
પંચવટીમાં એમનો સમય આનંદમાં પસાર થવા લાગ્યો. પ્રકૃતિએ પંચવટીમાં મન મૂકીને સૌંદર્ય વેર્યું હતું. જોતજોતામાં તેર વર્ષ પસાર થઈ ગયાં. હવે એમણે વનમાં ફક્ત એક જ વર્ષ પસાર કરવાનું બાકી રહ્યું.
એક દિવસ તેઓ કુટિરના આંગણામાં બેઠાં હતાં. એ વખતે રાવણની બહેન શૂર્પણખા ત્યાં આવી ચડી. શૂર્પણખા રામનું દિવ્ય રૂપ જોઈ આકર્ષાઈ ગઈ. આથી તે માયાવી શક્તિથી સુંદર સ્ત્રીનું રૂપ લઈને રામની પાસે આવી અને એમને કહેવા લાગી, "હું મહાપ્રતાપી રાવણની બહેન છું. આ સંસારમાં એક પણ સ્ત્રી મારા જેટલી સુંદર નથી. મને મારા લાયક કોઈ પુરુષ ન મળવાથી હું હજુ કુંવારી રહી ગઈ છું. મારી સાથે વિવાહ કરી લે.એ પછી તારે આવી ઝૂંપડીમાં નહીં રહેવું પડે. હું તને મારા ભવ્ય મહેલમાં રાખીશ."
આ સ્ત્રીનો ઘમંડ જોઈને રામને અકળામણ થઈ. પણ એમણે હસતાં હસતાં તેને કહ્યું, "તું મારા ભાઈ લક્ષ્‍મણ પાસે જા. એ સુંદર છે અને એકલો છે."
શૂર્પણખાએ થોડે દૂર બેઠેલા લક્ષ્‍મણ પાસે જઈ તેની પાસે પોતાનો વિચાર પ્રગટ કર્યો. ત્યારે લક્ષ્‍મણે એને કહ્યું, "હું તો રામનો સેવક છું. તારી સાથે લગ્ન કરવા માટે હું સ્વતંત્ર નથી. તું તો મહારાણી થવા સર્જાયેલી છે. તેથી તું રામની સાથે લગ્ન કરે એ જ યોગ્ય છે."


શૂર્પણખા રામની પાસે આવી ત્યારે એમણે તેને પાછી લક્ષ્‍મણની પાસે મોકલી. આમ રામ અને લક્ષ્‍મણની વચ્ચે આંટાફેરા કરીને શૂર્પણખા કંટાળી ગઈ. આ બે ભાઈઓ તેની મશ્કરી કરી રહ્યા હતા એની તેને ખબર પડી ગઈ. એટલે તે સીતા પર હુમલો કરવા દોડી. લક્ષ્‍મણે સહેજ પણ સમય ગુમાવ્યા વગર એનાં નાક-કાન કાપી લીધાં.
વેદનાના ચિત્કારો કરતી શૂર્પણખા ત્યાંથી નાસી છૂટી. એ સીધી તેના સાવકા ભાઈઓ ખર અને દૂષણ પાસે દોડી ગઈ. એણે ખર-દૂષણને રડતાં કકળતાં પોતાની આપવીતી કહીને પોતાના અપમાનનો બદલો લેવા ઉશ્કેર્યા.
ખર અને દૂષણ રાવણના સાવકા ભાઈઓ હતા. રાવણની સૂચનાથી ખર અને દૂષણ એક મોટી સેના લઈને પંચવટી તરફ ઊપડ્યા.
ખર-દૂષણની સેનાએ પંચવટીને ચારે તરફથી ઘેરી લીધી. અને યુધ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં દૂષણ અને સેનાપતિ ત્રિશિર પણ લડતાં લડતાં ખપી ગયા. ત્યાર પછી ખર પોતે રામ સાથે યુદ્ધ કરવા આવ્યો. રામે મહર્ષિ‍ અગસ્ત્ય પાસેથી મેળવેલું વૈષ્‍ણવ ધનુષ્‍ય લીધું અને તેના પર ઇન્દ્રનું બાણ ચડાવીને ખરની છાતીમાં માર્યું. ખરની છાતી ફાટી ગઈ અને તત્કાળ તેનું મૃત્યુ થઈ ગયું.












૧૮. સીતાનું અપહરણ


રામ સાથેના યુદ્ધમાં ખર-દૂષણ મૃત્યુ પામ્યા એટલે શૂર્પણખા તેના મોટા ભાઈ લંકાપતિ રાવણ પાસે ગઈ. રાવણે શૂર્પણખાને આશ્વાસન આપ્‍યું અને સીતાને ઉપાડી લાવવાનો નિર્ણય કર્યો. રાવણ મારીચની પાસે ગયો. રાવણે તેને કહ્યું, " હું તારી મદદ માગવા આવ્યો છું. તું સુવર્ણમૃગનું રૂપ લઈને રામની કુટિર પાસે જજે. રામ લક્ષ્‍મણ તને પકડવા આવે ત્યારે તું એમને જંગલમાં ખૂબ દૂર સુધી લઈ જજે. હું એ જ વખતે સીતાને ઉપાડીને લંકામાં લઈ જઈશ.." મારીચ સુવર્ણમૃગનું રૂપ લઈને રામની કુટિરની આજુબાજુ ફરવા લાગ્યો. રાવણ ઝાડીની પાછળ છુપાઈ? રહ્યો હતો. સીતાએ આટલો સુંદર મૃગ કદી જોયો નહોતો. તેથી તેમણે રામને કહ્યું, "તમે ગમે તેમ કરીને મારા માટે આ મૃગને પકડી લાવો."
લક્ષ્‍મણને સીતાના રક્ષણની જવાબદારી સોંપીને રામે મૃગનો પીછો કર્યો. મારીચ રામને કુટિરથી ખૂબ દૂર લઈ ગયો. રામે તેના પર બાણ છોડ્યું. મારીચની છાતીમાં બાણ વાગતાં એનું અસલ સ્વરૂપ પ્રગટ થઈ ગયું. તેણે રામના અવાજમાં ‘હે લક્ષ્‍મણ ! હે સીતે !‘ એવી બૂમો પાડી અને પ્રાણ છોડી દીધા..
મારીચે કરેલા પોકારો સાંભળીને સીતા ચિંતામાં પડ્યાં. તેમણે લક્ષ્‍મણને કહ્યું, "આર્યપુત્ર મુસીબતમાં ફસાઈ ગયા લાગે છે. તમે જલદીથી તેમની મદદે જાઓ."
લક્ષ્‍મણે સીતાને કહ્યું, "માતા ! આપણને સંભળાયેલો અવાજ રામનો નથી. આમાં રાક્ષસોનું કોઈ કપટ હોય એવું લાગે છે."
સીતાએ લક્ષ્‍મણને રામની મદદ જવાનો વારંવાર આગ્રહ કર્યો. તેથી લક્ષ્‍મણે તેના ભાથામાંથી એક તીર લીધું. એ તીર વડે પર્ણકુટિની આસપાસ, જમીન ઉપર એક રેખા દોરી. પછી લક્ષ્‍મણે સીતાને એ રેખા બતાવીને કહ્યું, "માતા ! હું મોટા ભાઈને લઈને અહીં પાછો ન આવું ત્યાં સુધી ગમે તે થઈ જાય તો પણ આપ આ રેખા ઓળંગશો નહીં. આપ આ સીમાની અંદર રહેશો ત્યાં સુધી પ્રભુ આપની રક્ષા કરશે."
એવું કહી, લક્ષ્‍મણ હાથમાં ધનુષ્‍યબાણ લઈ રામની મદદ માટે નીકળ્યો. લક્ષ્‍મણ દેખાતો બંધ થયો કે તરત જ ઝાડીમાં છુપાયેલો રાવણ બહાર નીકળી આવ્યો. સાધુવેશમાં વેદમંત્રો બોલતાં બોલતાં એણે કુટિરના આંગણામાં પગ મૂક્યો. સીતાએ એને સાધુપુરુષ સમજી આવકાર્યો.
"સાધુને ભિક્ષા આપો, મૈયા !" એવું બોલીને રાવણ પર્ણકુટિના આંગણામાં આસન બિછાવીને બેસી ગયો. સીતાજી આ સાધુને ભિક્ષામાં આપવાની સામગ્રી લેવા માટે કુટિરની અંદર ગયાં. રાવણ ઝટપટ ઊભો થયો. તેણે સીતાનું અપહરણ કરવાના ઇરાદાથી કુટિરના દ્વાર તરફ એના પગ ઉપાડ્યા કે તરત જ લક્ષ્‍મણરેખામાંથી આગના ભડકા થવા લાગ્યા. રાવણ તેનાથી ડરીને પાછો હઠ્યો. કુટિરની ચારે તરફ દોરેલી લક્ષ્‍મણરેખા જોઈને રાવણ પાછો ફરીને ચૂપચાપ તેના આસન ઉપર બેસી ગયો.
સીતાજી કુટિરમાંથી થોડાં ફળ અને કંદમૂળ લઈને બહાર આવ્યાં. લક્ષ્‍મણરેખાની અંદરની તરફ ઊભાં રહીને સીતાજીએ સાધુને એમનું ભીક્ષાપાત્ર આગળ ધરવા વિનંતી કરી. રાવણે બનાવટી ક્રોધ બતાવી સીતાને કહ્યું : "મૈયા ! આટલે દૂરથી તમે મને ભીક્ષા આપીને મારું અપમાન કરવા ઇચ્છો છો ?"
સીતાએ કહ્યું, "મહારાજ ! મને આ રેખાની બહાર પગ નહીં મૂકવાની સૂચના છે. તેથી હું આપને આપનું ભીક્ષાપાત્ર સહેજ આગળ ધરવાની વિનંતી કરી રહી છું."
રાવણને એની બાજી ધૂળમાં મળી જતી લાગી. એટલે તે ઊભો થઈને ત્યાંથી જતા રહેવાનો દેખાવ કરતાં બોલ્યો, "જાઓ, અમારે તમારી ભિક્ષા નથી જોઈતી."
સાધુ પોતાની પાસેથી ભિક્ષા લીધા વિના પાછો જતો રહે એ વાત સીતાને શરમજનક લાગી. સીતાએ ડરતાં ડરતાં લક્ષ્‍મણરેખાની બહાર પગ મૂક્યો. તરત જ રાવણે સીતાને ઉપાડીને લંકા તરફ નાસી છૂટયો.
સીતાને લક્ષ્‍મણ રેખા ઓળંગવા બદલ પસ્તાવો કરવા લાગ્યાં. પણ હવે તો ઘણું મોડું થઈ ગયું હતું.
સીતાએ મોટા અવાજે રામ અને લક્ષ્‍મણને બૂમો પાડી. ગીધરાજ જટાયુ સીતાનો અવાજ સાંભળીને તરત ત્યાં આવી પહોંચ્યો અને રાવણના રથનો માર્ગ રોકીને ઊભો રહ્યો. જટાયુએ રાવણને પડકારીને તેના ઉપર જોરદાર હુમલો કરી દીધો.
રાવણે ખડ્ગ વડે જટાયુની પાંખો કાપી નાખી. જટાયુ અસહાય થઈને ધરતી પર પડી ગયો. એટલે રાવણ સીતાને સાથે લઈ આકાશમાર્ગે લંકા તરફ રવાના થયો.








૧૯. રામ-લક્ષ્‍મણ સીતાની શોધમાં




રામ મારીચને હણીને પાછા ફરતા હતા ત્યારે તેમણે લક્ષ્‍મણને પોતાની તરફ આવતો જોયો. સીતાને એકલાં મૂકીને લક્ષ્‍મણને એકાએક આવેલો જોઈને રામને ફાળ પડી.
લક્ષ્‍મણે રામને વિગતવાર વાત કરી ત્યારે રામે એને કહ્યું, "તારે ઉતાવળે અહીં દોડી આવવાની જરૂર નહોતી."
રામ અને લક્ષ્‍મણ દોડતા દોડતા પર્ણકુટિમાં આવ્યા. સીતા ત્યાં ન હતાં ! તેમણે કુટિરની આસપાસ બધે જ સીતાની તપાસ કરી. સીતા એટલામાં ક્યાંય હોય તો જડે ને !
સીતાની ભાળ ન મળતાં રામને ભારે આઘાત લાગ્યો. રામ અને લક્ષ્‍મણ સીતાના નામની બૂમો પાડતા ચારે બાજુ સીતાને શોધવા લાગ્યા. એમણે પંચવટીનાં જંગલોમાં ખૂણે ખૂણે સીતાની તપાસ કરી. એમને નજીકમાં જ વેદનાથી કણસતો ઘાયલ પક્ષીરાજ જટાયુ પડ્યો હતો.. જટાયુએ રામને કહ્યું "રાવણ સીતાને ઉપાડી ગયો છે. મેં એ દુષ્‍ટને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ આખરે મારી આવી દશા થઈ અને હું અસહાય થઈ ગયો. એ અહીંથી દક્ષિ‍ણ દિશા તરફ ગયો છે."
આટલું બોલતાં બોલતાં પક્ષીરાજ જટાયુ મૃત્યુ પામ્યો.
જટાયુને શ્રદ્ધાંજલિ આપીને રામ-લક્ષ્‍મણ ક્રૌંચારણ્ય નામના ગાઢ જંગલમાં દાખલ થયા. ત્યાં કબંધ નામના વિચિત્ર દેખાતા રાક્ષસે એમનો રસ્તો રોકી લીધો. કબંધ એક ગંધર્વ હતો. એક ઋષિના શાપથી એ દાનવ બની ગયો હતો. એણે એની વિરાટ ભુજાઓ વડે રામ અને લક્ષ્‍મણને જકડી લીધા. રામ-લક્ષ્‍મણે પોતપોતાની તલવારોથી એની બંને ભુજાઓ કાપી નાખી. કબંધ ઘાયલ થઈને નીચે પડી ગયો.
રામનો સ્પર્શ થવાથી કબંધના મનમાં સાત્વિક ભાવ જન્મ્યો હતો. એણે રામ-લક્ષ્‍મણને વિશે જાણવાની ઇચ્છા પ્રગટ કરી. રામે એને પોતાનો પરિચય આપ્‍યો. કબંધે રામને કહ્યું, "અહીંથી દ‍ક્ષણિ-પશ્ચિમ દિશામાં ઋષ્‍યમૂક પર્વત આવેલો છે. ત્યાં સુગ્રીવ નામનો એક વાનર તેની ટોળી સાથે રહે છે. સીતાને શોધવામાં એ તમને મદદ કરશે. ઋષ્‍યમૂક પર્વત તરફ જતાં પંપા સરોવરના કિનારે મતંગ ઋષિનો આશ્રમ આવશે. મતંગ ઋષિની શિષ્‍યા શબરી ત્યાં રહે છે. આપ એને મળ્યા પછી જ આગળ જજો."
રામના પવિત્ર સ્પર્શને લીધે તે પણ અહલ્યાની જેમ શાપમુક્ત થઈ ગયો.
રામ-લક્ષ્‍મણ પંપા સરોવરના કિનારે આવેલા મતંગ ઋષિના આશ્રમે પહોંચ્યા. શબરીએ રામનો ચરણસ્પર્શ કરી એમનું ભક્તિભાવથી સ્વાગત કર્યું. પછી એણે રામને ખાવા માટે મીઠાં બોર આપ્‍યાં. રામે એ બોર એટલા જ પ્રેમથી આરોગ્યાં. રામે શબરીને સીતા વિશે પૂછપરછ કરી. શબરીએ તેમને વાનરરાજ સુગ્રીવની સાથે મિત્રતા કરીને એની મદદથી સીતાની શોધ કરવા સૂચવ્યું.
રામના દર્શનથી શબરીનું જીવનકાર્ય પૂરું થઈ ગયું હોવાથી તેણે પોતાના શરીરનો ત્યાગ કર્યો.








૨૦. રામ અને સુગ્રીવનું મિલન


રામ અને લક્ષ્‍મણ ઋષ્‍યમૂક પર્વત પર જવા માટે પંપા સરોવરને કિનારે કિનારે ચાલવા લાગ્યા. ઋષ્‍યમૂક પર્વત પર સુગ્રીવ તેના સાથીઓ વચ્ચે બેઠેલો. એણે દૂરથી પર્વત તરફ આગળ વધતા બે ધનુર્ધારી તપસ્વીઓને જોયા. એણે એના મંત્રી હનુમાનને આ બે તપસ્વીઓની તપાસ કરવા મોકલ્યા.
હનુમાન તપસ્વી વેશે રામ-લક્ષ્‍મણની પાસે આવ્યા. હનુમાને કહ્યું, "હું સુગ્રીવનો સેવક હનુમાન છું. સુગ્રીવ ધર્માત્મા અને બુદ્ધિમાન છે. તે આપને મળવા ઉત્સુક છે. આપને કોઈ સંશય હોય તો તે મને જણાવો."
લક્ષ્‍મણે હનુમાનને કહ્યું, "હે વિદ્વાન સજ્જન ! આ કૌશલનરેશ દશરથના જયેષ્‍ઠ પુત્ર રામ છે. હું એમનો અનુજ લક્ષ્‍મણ છું. અમારા પિતાજીની આજ્ઞાથી અમે ચૌદ વર્ષના વનવાસમાં નીકળ્યા છીએ. અમારી સાથે રામનાં ધર્મપત્‍ની સીતાજી પણ આવ્યાં હતાં. રાવણ છળકપટથી સીતાજીને ઉપાડી ગયો છે. અમને કબંધે સુગ્રીવને મળવાનું કહ્યું હતું. તેથી સુગ્રીવ પાસે જવા નીકળ્યા છીએ."

આ સાંભળીને હનુમાન ખુશ થઈ ગયા. એ રામ-લક્ષ્‍મણને પોતાના ખભે બેસાડીને સુગ્રીવની પાસે લઈ ગયા. હનુમાને રામ-લક્ષ્‍મણને સુગ્રીવનો અને સુગ્રીવને રામ-લક્ષ્‍મણનો પરિચય કરાવ્યો. રામ અને સુગ્રીવે આજીવન મિત્રતા નિભાવવાની પ્રતિજ્ઞા લીધી. સુગ્રીવે સીતાજીને શોધવામાં રામને દરેક પ્રકારની મદદ કરવાનું વચન આપ્‍યું.
હનુમાને એક પોટલી લાવીને રામના હાથમાં મૂકી. એમાં સીતાનાં આભૂષણો હતાં. રામે સીતાનાં આભૂષણો ઓળખી લીધાં હતાં. એટલે એમનું દુઃખ વધી ગયું. સુગ્રીવે એમને આશ્વાસન આપીને પોતાના દુઃખ વિશે જણાવતાં કહ્યું, " અમારા પિતા ઋક્ષરાજના મૃત્યુ પછી મારા મોટા ભાઇ વાલિના મંત્રીઓએ વાલિને કિષ્કિન્ધાનુ; રાજ્ય સોંપ્‍યું હતું."
માયાવી નામના એક રાક્ષસને એક સ્ત્રીને કારણે વાલિ સાથે વેર બંધાયું હતું. માયાવીએ એક વખત મધરાતે કિષ્કિન્ધાના દ્વારે આવીને વાલિને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. માયાવીની બૂમો સાંભળીને વાલિ જાગી ગયો. પછી હું અને વાલિ માયાવીની સામે જઈને ઊભા રહ્યા. એટલે માયાવી ડરીને નાસી ગયો. અમે બંને પણ તેની પાછળ દોડ્યા. રાક્ષસ એનો જીવ બચાવવા એક ગુફામાં પેસી ગયો.
‘હું પાછો ન આવું ત્યાં સુધી તું ગુફાની બહાર જ ઊભો રહેજે.‘ આ પ્રમાણે મને સૂચના આપીને વાલિ પણ માયાવીની પાછળ ગુફામાં જતો રહ્યો.

વાલિ ઘણા સમય સુધી ગુફામાંથી બહાર ન આવ્યો. એટલે મને એની ચિંતા થઈ રહી હતી. મને થયું કે માયાવીએ વાલિનો વધ કરી દીધો હશે અને હવે તે બહાર આવશે તો મને પણ હણી નાખશે. એટલે મેં એક મોટી શિલા વડે ગુફાનું દ્વાર બંધ કરી દીધું.
મેં કિષ્કિન્ધામાં પાછા આવીને મંત્રીઓને આ ખબર આપ્‍યા. મંત્રીઓએ મને કિ‍‍ષ્કિન્ધાના રાજા તરીકે નિયુક્ત કર્યો. થોડા દિવસો બાદ વાલિ કિષ્કિન્ધામાં પાછો ફર્યો.
વાલિને જીવતો પાછો આવેલો જોઈને મને ખૂબ આનંદ થયો. પણ એ સમજ્યો કે મેં એનું રાજ્ય પડાવી લેવા માટે જ ગુફાનું દ્વાર બંધ કરી દીધું હતું. એણે મારી પત્‍ની રુમાને બળજબરીથી પોતાના મહેલમાં રાખી અને મને મારીને કાઢી મૂક્યો.
તે દિવસથી હું મારો જીવ બચાવવા ઠેર ઠેર ભટકવા લાગ્યો. પણ વાલિ મારી પાછળ બધે પહોંચી જતો હતો. છેવટે હનુમાન, નલ, નીલ વગેરે મારા વિશ્વાસુ સાથીઓ જોડે મારે આ ઋષ્‍યમૂક પર્વત પર આશ્રય લેવો પડ્યો છે.
રામે સુગ્રીવની વાત ધ્યાનથી સાંભળીને એને મદદ કરવાનું વચન આપ્‍યું. સુગ્રીવે રામને કહ્યું, "મહારાજ ! આપની શક્તિમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે. પણ મારે આપને વાલિનાં બળ અને પરાક્રમનો અંદાજ આપવો જોઈએ. જેથી આપ યોગ્ય નિર્ણય લઈ શકો.

વાલિ સૂર્યોદય થતાં પહેલાં જ પશ્ચિમ સમુદ્રથી પૂર્વ સમુદ્ર સુધી અને દક્ષિ‍ણ સમુદ્રથી ઉત્તર સમુદ્ર સુધી ફરીને પાછો આવી શકે છે. એટલું ફર્યા પછી પણ તેને થાક નથીલાગતો. એ ઊંચામાં ઊંચા પર્વત પર સડસડાટ ચઢી જાય છે અને મોટામાં મોટા શિખરને આસાનીથી ઊંચકી લે છે. એણે મહાપરાક્રમી દુંદુભિ રાક્ષસને અને ગંધર્વરાજ ગોલભને આસાનીથી હરાવી દીધા હતા. વાલિ એકસાથે સાત શાલવૃક્ષને હલાવે છે ત્યારે સાતેય વૃક્ષોનાં બધાં પાંદડાં એકસાથે ખરી પડે છે. એ ઉપરાંત તે એક જ બાણ વડે શાલવૃક્ષના જાડા થડને વીંધી શકે છે. "
સુગ્રીવના મનમાંથી વાલિનો ડર દૂર કરવા રામે જમીન પર પડેલું દુંદુભિ રાક્ષસનું અતિશય ભારે હાડપિંજર પોતાના પગના અંગૂઠાથી ઊંચકીને હવામાં ઉછાળ્યું. દુંદુભિનું હાડ- પિંજર ત્યાંથી દસ યોજન દૂર જઈને પડ્યું. સુગ્રીવ રામના બળનો આ પરચો જોઈ પ્રભાવિત થયો. રામે સુગ્રીવને કહ્યું, "આપણે હવે ઝડપથી કિષ્કિન્ધામાં જઈએ. તમે વાલિને યુદ્ધ કરવાનો પડકાર ફેંકજો. એ તમારી સાથે યુદ્ધ કરતો હશે ત્યારે હું ઝાડીમાં છુપાઈ રહીશ અને લાગ મળતાં જ એને વીંધી નાખીશ."




બોલો શ્રી રામચંદ્ર કી જય 

No comments:

Post a Comment