Friday, May 21, 2010

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ- 3

રોજિંદા જીવનમાં વ્યવહાર :

78. પોતાની ઉપજ મુજબ જ ખર્ચ કરવો. ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે.

79. પોતાની ઉપજ તથા ખર્ચનું નિત્ય રૂડા અક્ષરે પોતે જાતે નામું લખવું.

80. કરજ દઈ ચૂક્યા હોઈએ, તો તે છાનું ન રાખવું.

81. સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ જમીન ને ધનના લેણદેણનો વ્યવહાર ક્યારેય ન કરવો.

82. પોતાના અથવા બીજાના વિવાહ સંબંધી કાર્યમાં આપવા યોગ્ય ધનની વિગત સાક્ષીએ સહિત લેખિત કરવી પણ કેવળ બોલી જ ન કરવી.

83. પોતાના સામર્થ્ય પ્રમાણે ગરીબો પ્રત્યે દયાવાન થવું.

84. ધનાઢ્ય ગૃહસ્થ સત્સંગીઓએ સુપાત્રને દાન દેવું.

85. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણ દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય અનુસારએ કરવાં.

86. ગૃહસ્થ સત્સંગીઓએ સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વપરાશ હોય તેટલા અન્ન-ધનનો સંગ્રહ કરવો.

87. જેના ઘરમાં પશુ હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્યપૂળાનો સંગ્રહ કરવો.

88. પશુની સેવા થાય તેમ હોય તો જ તે પશુને રાખવા; અને જો સેવા થાય તેમ ન હોય તો ન રાખવાં.

89. વિદ્યાદાન એ મોટું દાન છે. માટે સદ્દવિદ્યાનું પ્રવર્તન કરવું.

સંગશુદ્ધિ :

90. કૃતઘ્નીના સંગનો ત્યાગ કરવો.

91. ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા (જાદુ-મંત્ર) કરીને ઠગનારો – એ છ પ્રકારના મનુષ્યનો સંગ ન કરવો.

92. ભક્તિ અથવા જ્ઞાનનું આલંબન લઈને સ્ત્રી, ધન અને રસાસ્વાદમાં અતિશય લોલુપ થકા પાપ કરતા હોય તેનો સંગ ન કરવો.

આપત્કાળમાં શું કરવું ?

93. શાસ્ત્રે કહેલો આપદ્દ ધર્મ અલ્પ આપત્કાળમાં ક્યારેય ગ્રહણ ન કરવો.

94. કષ્ટ દેનારી એવી કોઈ કુદરતી, મનુષ્ય સંબંધી કે રોગાદિક આપત્તિ આવી પડે ત્યારે, પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું.

95. કોઈક કઠણ ભૂંડો કાળ, શત્રુ અથવા રાજાના ઉપદ્રવથી પોતાની લાજ જતી હોય, ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય ત્યારે, પોતાના મૂળ ગરાસનું ગામ તથા વતન હોય તો પણ તેનો તત્કાળ ત્યાગ કરી દેવો; અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવા સ્થાનમાં જઈને સુખેથી રહેવું.

આહારશુદ્ધિ :

96. વ્યસનનો ત્યાગ કરવો. ભાંગ, આદિ કેફ કરનારી વસ્તુ ખાવી નહિ અને પીવી પણ નહિ.

97. ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનો દારૂ તે દેવાઅને નૈવેદ્ય કર્યાં હોય તો પણ ન પીવાં.

98. માંસ તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું.

99. જે દેવતાને દારુ અને માંસનું નૈવેદ્ય થતું હોય અને જે દેવતાની આગળ બકરાં આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું.

100. ગાળ્યા વિનાનું જળ તથા દૂધ ન પીવું. જે જળમાં ઘણાંક ઝીણા જીવ હોય તે જળથી સ્નાનદિક ક્રિયા ન કરવી.

101. ચામડાના પાત્રમાં રહેલું પાણી ન પીવું.

102. ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય વસ્તુ ન ખાવી.

103. ઔષધ પણ દારુ તથા માંસે યુક્ત હોય તો તે ક્યારેય ન ખાવું.

104. જે વૈદ્યનું આચરણ જાણતા ન હોઈએ તે વૈદ્યે આપેલું ઔષધ પણ ક્યારેય ન ખાવું.

સ્વચ્છતાના નિયમો :

105. લોક અને શાસ્ત્રમાં મળમૂત્ર કરવા માટે વર્જિત કરેલાં જાહેર સ્થાનો (દેવાલય, નદીનો કિનારો, તળાવનો આરો, માર્ગ, વાવેલું ખેતર, વૃક્ષની છાયા, ફૂલવાડી, બગીચા – એ આદિક) માં ક્યારેય પણ મળમૂત્ર ન કરવું, થૂંકવું પણ નહિ.

દાન તથા દેવ અને ગુરુ સાથે વ્યવહાર :

106. ગૃહસ્થાશ્રમી સત્સંગીઓએ પોતાની આવકના ધન-ધાન્ય આદિમાંથી દશમો ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરવો. જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો.

107. ધનાઢ્ય ગૃહસ્થોએ મંદિરમાં મોટા ઉત્સવ કરાવવા.

108. પોતાના ગુરુને આવતા જાણીને આદરથકી તત્કાળ સન્મુખ જવું અને તેઓ પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું.

109. ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શને ખાલી હાથે ન જવું.

110. પોતાના ગુરુ તથા ભગવાનનાં મંદિરનું દેવું ન રાખવું.

111. મંદિર પાસેથી પોતાના વ્યવહાર માટે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક વસ્તુ માગી લાવવાં નહિ.

112. ભગવાન, ગુરુ તથા સાધુનાં દર્શન કરવા જવું ત્યારે માર્ગમાં પારકું અન્ન ખાવું નહિ. કારણ કે પારકું અન્ન પુણ્યને હરી લે છે.

113. ધનાઢ્ય ગૃહસ્થોએ તીર્થમાં તથા દ્વાદશી આદિક પર્વમાં બ્રાહ્મણ-સાધુઓને જમાડવા.

114. પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રાદિકે કરીને પોતાના ગુરુને પૂજવા.

115. ધનાઢય ગૃહસ્થ સત્સંગીઓએ હિંસાએ રહિત યજ્ઞો કરાવવા.

No comments:

Post a Comment