Friday, October 1, 2010

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ - 5



સંતો-પાર્ષદો માટે નિયમો :

145. ત્યાગીએ સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો, સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ.

146. સ્ત્રીઓની વાત ક્યારેય ન કરવી અને ન સાંભળવી.

147. જે સ્થાનમાં સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાને સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું

148. દેવતાની પ્રતિમા વિના બીજી સ્ત્રીની ચિત્રની અથવા કાષ્ઠાદિકની પ્રતિમાનો સ્પર્શ ન કરવો. જાણીને તે પ્રતિમાને જોવી પણ નહિ.

149. સ્ત્રીની પ્રતિમા ન કરવી.

150. સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારીને ઉતારેલા વસ્ત્રને અડવું નહિ.

151. મૈથુનાસક્ત પશુપક્ષીને જાણીને જોવાં નહિ.

152. સ્ત્રીના વેષધારી પુરુષને અડવું નહિ, તેની સામું જોવું નહિ અને તે સાથે બોલવું નહિ.

153. સ્ત્રીને ઉદ્દેશીને ભગવાનની કથા-વાર્તા કીર્તન પણ ન કરવાં.

154. પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું વચન પોતાના ગુરુનું હોય તો પણ ન માનવું.

155. સદાકાળ ધીરજવાન, સંતોષે યુક્ત ને માને રહિત રહેવું.

156. બળાકાત્કારે કરીને પોતાને સમીપે આવતી સ્ત્રીને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તરત વારવી, પણ સમીપે આવવા દેવી નહિ.

157. જો ક્યારેય સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપત્તકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની અને પોતાની રક્ષા કરવી.

158. શરીરે તૈલમર્દન ન કરવું.

159. શસ્ત્ર તથા ભયંકર વેષ ન ધારવાં.

160. જે ઘર સ્ત્રી પીરસનારી હોય ત્યાં ભિક્ષા લેવા જવું નહિ.

161. જે ગૃહસ્થના ઘરે પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય તેવા ગૃહસ્થના ઘરે ત્યાગીઓએ જમવા જવું અને તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું.

162. વેદ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી.

163. સ્ત્રીઓની પેઠે સ્ત્રેણ (સ્ત્રીના સંગમાં રાચનાર) પુરુષનો સંગ સર્વકાળે ત્યાગવો.

164. સર્વે સાધુઓએ સ્ત્રીઓનાં દર્શન-ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો.

165. કામ, ક્રોધ, લોભ અને માન આદિક અંતઃશત્રુને જીતવા.

166. સર્વે ઇન્દ્રિયોને જીતવી અને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી.

167. ધન-દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ.

168. કોઈની થાપણ ન રાખવી.

169. ક્યારેય પણ ધીરજનો ત્યાગ ન કરવો.

170. પોતાના ઉતારાની જગ્યામાં ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ.

171. આપત્કાળ પડ્યા વિના, સંઘ-સોબત વિના ક્યારેય એકલા ચાલવું નહિ.

172. જે વસ્ત્ર બહુ મુલ્યવાળું હોય, ચિત્ર વિચિત્ર ભાતનું હોય, કસુંબાદિક રંગથી રંગેલું હોય, શાલ-દુશાલા હોય વળી, બીજાની ઇચ્છાથી પોતાને પ્રાપ્ત થયું હોય, તો પણ તેવું વસ્ત્ર પહેરવું-ઓઢવું નહિ.

173. ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘરે જવું નહિ.

174. ભગવાનની નવ પ્રકારની ભક્તિ વિના વ્યર્થ સમય વિતાવવો નહિ. નિરંતર ભક્તિ કરીને જ સમય વિતાવવો.

175. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી જડ બ્રાહ્મણ તરીકે જેમ વર્તતા હતા તેમ પરમહંસ એવા અમારા સાધુઓએ વર્તવું.

176. તાંબૂલ (પાન-પાનબીડું) તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ ન કરવું.

177. ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ.

178. રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ.

179. મોટા સંતની આગળ નિરંતર નિષ્કપટપણે વર્તવું.

180. કુમતિવાળા દુષ્ટજન ગાળ દે અથવા મારે, તો તેને ક્ષમા આપવી, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવું નહિ; અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.

181. કોઈનું દૂતપણું ન કરવું; ચાડિયાપણું ન કરવું, કોઈના ચારચક્ષુ(ગુપ્તચર) ન થવું.

182. દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી.

183. સૂર્ય ને ચંદ્રમાના ગ્રહણ વખતે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો.

184. ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી.
વ્રત, પ્રાયશ્ચિત અને અભ્યાસ :

185. નિત્ય સાયંકાળે ભગવાનના મંદિરે જવું અને ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવું.

186. ઉત્સવને દિવસે મંદિરમાં વાજિંત્રે સહિત ભગવાનનાં કીર્તન કરવાં.

187. સર્વ એકાદશીઓનું વ્રત આદરથકી કરવું.

188. જન્માષ્ટમી તથા શિવરાત્રી આદિક વ્રત આદરથકી કરવાં અને તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. ભાદરવા શુદી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. શ્રાવણ માસમાં મહાદેવનું પૂજન પ્રીતિપૂર્વક કરવું અથવા બીજા પાસે કરાવવું.

189. એકાદશી આદિક વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસ અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. મૈથુન અને દિવસની નિદ્રાથી ઉપવાસનો નાશ થઈ જાય છે.

190. સૂર્ય ને ચંદ્રમાના ગ્રહણ વખતે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો.

191. ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ગૃહસ્થે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું

192. જન્મ તથા મરણનું સૂતક પોતપોતાના સંબંધ અનુસાર શાસ્ત્ર મુજબ પાળવું.

193. ક્યારેક જાણે અથવા અજાણે નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું.

194. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણ વાનાં દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાં અનુસારે કરવા.

195. દ્વારિકા આદિક તીર્થની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.

196. સંસ્કૃત અને પ્રાકૃત એવા સદ્દગ્રંથનો અભ્યાસ પોતાની બુદ્ધિ અનુસાર કરવો.

197. ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારવો. ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, પ્રદક્ષિણાઓ કરવી, સાષ્ટાંગ નમસ્કાર કરવા – એ આઠ પ્રકારના નિયમ અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ ચોમાસામાં વિશેષપણે ભક્તિપૂર્વક ધારવો. અસમર્થ હોય તેમણે ફક્ત શ્રાવણમાસમાં વિશેષ નિયમ ધારવો.

198. એકાદશી આદિક વ્રતનું ઉદ્યાપન (ઉજવણું) પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું. તે મનવાંછિત ફળ આપનારું છે. 


No comments:

Post a Comment