Friday, October 1, 2010

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ- 4

બ્રહ્મચર્ય – સંયમ અને મર્યાદા :

116. વ્યભિચાર ન કરવો.

117. પુરુષોએ પોતાનાઅ સમીપે સંબંધ વિનાની સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો.

118. આપતકાળ પડ્યા વિના પોતાની યુવાન મા, બહેન અને દીકરી સંગાથે પણ પુરુષોએ એકાંત સ્થળે ન રહેવું.

119. રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો પ્રસંગ કોઈ પ્રકારે પણ ન કરવો.

120. પોતાનાં અંગ દેખાય તેવું ભૂંડું વસ્ત્ર ન પહેરવું.

121. મંદિરમાં પુરુષોએ સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. મંદિરમાંથી નીસર્યા પછી પોતાપોતાની રીતે વર્તવું.

122. પુરુષોએ બાઈ માણસના મુખ થકી જ્ઞાન-વાર્તા ન સાંભળવી. સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો.

123. પોતાની પત્નીનું દાન કોઈને ન કરવું.

સ્ત્રીઓ માટે :

124. પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો. પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું.

125. સ્ત્રીઓએ પોતાના પતિ સિવાય રૂપવાન, યુવાન અને ગુણવાન અન્ય પુરુષોનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો.

126. પોતાનો પતિ પરદેશ ગયો હોય ત્યારે આકર્ષક વસ્ત્ર-આભૂષણો ન પહેરવાં, પારકા પુરુષના ઘેર બેસવા ન જવું અને હાસ્ય-વિનોદાદિકનો ત્યાગ કરવો.

127. ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું.

128. પોતાની નાભિ, સાથળ અને છાતીને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું.

129. વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહિ.

130. ભાંડભવાઈ જોવા ન જવું.

131. સ્વૈરિણી,(સ્વચ્છંદી, મન ફાવે તેમ ફરવાવાળી સ્ત્રી) કામિની અને પુંશ્ચલી (વંઠેલ-વ્યભિચારી સ્ત્રી) એવી નિર્લજ્જ સ્ત્રીઓનો સંગ ન કરવો.

132. પોતાનું રજસ્વલાપણું ગુપ્ત ન રાખવું.

133. રજસ્વલા સ્ત્રીઓએ ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્ય તથા વસ્ત્રાદિકને અડવું નહિ. ચોથે દિવસે નાહીને અડવું.

વિધવા સ્ત્રીઓના નિયમો :

134. વિધવા સ્ત્રીઓએ પતિબુદ્ધિએ કરીને ભગવાનને સેવવા. પોતાના પિતા, પુત્રાદિક સંબંધિની આજ્ઞામાં વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું.

135. પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષનો સ્પર્શ ક્યારેય ન કરવો. આવશ્યક કાર્ય વિના સમીપ સંબંધ વિનાના યુવાન પુરુષ સાથે ક્યારેય પણ બોલવું નહિ. ધાવણા બાળકને કે કોઈ વૃદ્ધ પુરુષને અડી જવાય તથા બોલાય તેમાં દોષ નથી.

136. પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષ થકી કોઈ પણ વિદ્યા ન ભણવી.

137. આપત્કાળ પડ્યા વિના યુવાન વિધવા સ્ત્રીએ પોતાના સંબંધી યુવાન પુરુષ સંગાથે પણ એકાંત સ્થળે ન રહેવું.

138. પુરુષના શૃંગાર રસ સંબંધી વાત વિધવાએ ક્યારેય ન કરવી અને ન સાંભળવી.

139. મૈથુનાસક્ત પશુપક્ષી જોવાં નહિ.

140. ગર્ભપાત કરનારનો સંગ ન કરવો.

141. હોળીની રમત ન રમવી, આભૂષણાદિક ધારણ ન કરવાં, સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત ઝીણાં વસ્ત્ર ક્યારેય ન પહેરવાં.

142. સધવા સ્ત્રીના જેવો તથા સંન્યાસિની કે વેરાગિણીના જેવો વેષ ન ધારવો. પોતાના દેશ, કુળ અને આચાર વિરુદ્ધ વેષ ક્યારેય ન ધારવો.

143. વ્રત-ઉપવાસ કરીને પોતાના દેહનું દમન કરવું.

144. પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો, વિધવા સ્ત્રીઓએ તે ધન ધર્મકાર્યમાં પણ ન આપવું. જો તેથી અધિક હોય તો આપવું.


No comments:

Post a Comment