Sunday, December 25, 2011

ૐ/ ઓમ / om meaning


ભારતમાં સૌથી વધુ બોલાતો મંત્ર "ઓમ" છે. તેનો, જપ કરનારના મન અને શરીર ઉપર અને આસપાસના વાતાવરણ ઉપર ઘણો શુભ પ્રભાવ પડે છે. મોટા ભાગના મંત્રો અને વૈદિક સ્તુતિઓની શરૂઆત ૐ થી થાય છે. બધાં કાર્યોનો શુભારંભ ૐ મંત્રોચ્ચારથી થાય છે. તેનો ઉપયોગ અભિવાદન અને સ્વાગતમાં પણ ૐ, હરિ ૐ બોલીને થાય છે. મંત્ર તરીકે તેનો જપ કરવામાં આવે છે. તેના આકારની પૂજા થાય છે, તેનું ધ્યાન ધરવામાં આવે છે અને એક શુભચિહ્ન તરીકે પણ તે વપરાય છે ?

આપણે ૐનો ઉચ્ચાર શા માટે કરીએ છીએ ?

ૐ ભગવાનનું વૈશ્વિક નામ છે. તે અ, ઉ અને મ એ એ ત્રણ મૂળાક્ષરોનો બનેલો છે. ગળામાં આવેલા નાદતંતુઓમાંથી પહેલો ધ્વનિ ‘અ‘ હોય છે. બંને હોઠ ગોળાકારમાં આવે છે ત્યારે ‘ઉ‘ બોલાય છે અને હોઠ બીડાઈ જાય છે ત્યારે ‘મ‘ નો ઉચ્ચાર થાય છે. આ ત્રણ અક્ષર જાગ્રત, સ્વપ્‍ન અને સુષુપ્તિ અવસ્થાના; બ્રહ્મા, વિષ્‍ણુ અને શિવ એ દેવત્રિપુટીના, ઋક્, સામ અને યજુર્ એ ત્રણ વેદોના, ભુર, ભુવઃ, સ્વઃ એ ત્રિલોકના વગેરે પ્રતીક છે. ભગવાન આ બધું જ છે અને તેથીય પરે છે. નિરંજન નિરાકાર બ્રહ્મ બે ૐના ઉચ્ચાર મધ્યની શાંતિ છે. ૐને પ્રણવ પણ કહે છે. જે નામ દ્વારા ભગવાનનાં ગુણગાન ગવાય છે તેને પ્રણવ કહેવાય છે. વેદોનો સમગ્ર સાર ૐ છે.

એવી કથા છે કે ભગવાને સૃષ્ટિના સર્જનની શરૂઆત ૐ અને અથનો મંત્રોચ્ચાર કરીને કરી હતી. તેથી કોઈ પણ કાર્યનો શુભારંભ ૐ કારના ઉચ્ચારણથી  કરવામાં આવે છે. ઘંટનાદમાં ૐ કારનો પ્રતિધ્વનિ સંભળાય છે. તેથી મનને શાંતિ મળે છે. તે એકાગ્ર થાય છે અને સૂ્ક્ષ્‍મ ધ્વનિથી પરિપૂર્ણ થાય છે. ૐકારના અર્થનું ધ્યાન કરીએ ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્‍ત થાય છે.

જુદા જુદા ૐ જુદા જુદા આકારમાં લખાય છે. ૐ આ અતિ પ્રચલિત રૂપ ગણેશનું પ્રતીક છે. ઉપરનો અર્ધવર્તુળાકાર તે મસ્તક છે. નીચેનો મોટો અર્ધવળાંક તે પેટ છે અને બિંદુ સહિતનું અર્ધવર્તુળ તે ગણેશના હાથમાં રહેલો લાડુ છે.

તેથી ૐ સર્વસ્વ છે. જીવનનું સાધન અને સાધ્ય, જગત અને તેની પાછળનું સત્ય, જડ અને ચેતન, આકાર અને નિરાકાર, આ બધું જ ૐમાં સમાયેલું છે.

No comments:

Post a Comment